સુરતમાં પત્રકારો પણ સલામત નથી. યુ ટ્યૂબ જર્નાલિસ્ટને ચપ્પુના 34 ઘા ઝીંકીને રહેંસી નાંખ્યો- Gujarat Post

02:46 PM Jul 31, 2024 | gujaratpost

Surat Crime News: સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી છે. શહેરમાં હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે. શહેરમાં રવિવારની રાત્રે એક પત્રકારની હત્યા થઈ હતી. આંજણા વિસ્તારમાં મોડી રાત્રે 15-16 વર્ષના 5-6 કિશોરોએ ચપ્પુના ઉપરા છાપરી 34 ઘા મારી ક્રૂરતાપૂર્વક પત્રકારને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આંજણા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક યુવકની હત્યા થઈ હતી. જે યુવકની હત્યા થઈ તે યુટ્યૂબ ચેનલનો પત્રકાર ઝૂબેર ઉર્ફે ઝૂબેર પ્રેસ હોવાની વિગતો બહાર આવી છે. ઝૂબેરની આંજણા વિસ્તારમાં આવેલી એચટીસી ટેક્સટાઈલ માર્કેટ પાસે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી.

ઝૂબેરને ત્રણેક મહિના પહેલાં તેના મહોલ્લામાં રહેતા કેટલાંક ટપોરીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. ટપોરીઓ સાથે આ મામલે તેનો ઝઘડો થયો હતો. દરમિયાન તે ટપોરીઓએ રેકી કરાવી રાત્રે તેને એકલો જોઇને તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે સીતારામ ચાની લારી પાસે જ હત્યા થઈ છે. યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જો કે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃત વ્યક્તિએ અગાઉ આરોપીઓ વિરુદ્ધ અરજી કરી હોવાની અંગત અદાવતમાં સમગ્ર હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526