(ફોટોઃ સૌ-એએનઆઇ)
નવી દિલ્હીઃ 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે 'ઓપરેશન સિંદૂર' પાછળના કારણો વિશે વાત કરતા કહ્યું કે પહેલગામમાં જે થયું તે અત્યંત ક્રૂરતા હતી. ભારત હવે આતંકવાદ અને પરમાણુ ધમકીઓના પડછાયામાં રહેવાનું નથી. તેમણે ફરીથી ભારપૂર્વક કહ્યું કે સૈન્ય દળો પર નિષ્ફળતાઓ અને નુકસાનની કોઈ અસર થતી નથી. નુકસાન મહત્વપૂર્ણ નથી, પરંતુ યુદ્ધના પરિણામો મહત્વપૂર્ણ છે.
તેમણે કહ્યું કે 10 મેના રોજ લગભગ એક વાગ્યે પાકિસ્તાનનો લક્ષ્ય 48 કલાકમાં ભારતને ઘૂંટણિયે પાડવાનો હતો. તેમને આપણા પર ઘણા હુમલા કર્યાં અને સંઘર્ષને વધુ વધાર્યો. પરંતુ અમે તો ફક્ત આતંકી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યાં હતા. જે ઓપરેશન તેમને લાગતું હતું કે 48 કલાક ચાલશે, તે લગભગ 8 કલાકમાં જ સમાપ્ત થઈ ગયું અને આપણે તેમને જ ઘૂંટણીએ પાડી દીધા અને પછી તેમણે ફોન ઉઠાવ્યો અને કહ્યું કે તેઓ વાત કરવા માંગે છે.
સીડીએસ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું કે આ સંઘર્ષ પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા હતા અને તે મુજબ ભારતે આતંકીઓનો સફાયો કરી નાખ્યો છે, આગામી સમયમાં પણ દુશ્મનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
"Results and how you act are important," CDS Gen Anil Chauhan clarifies position on losses during Op Sindoor
— ANI Digital (@ani_digital) June 3, 2025
Read @ANI Story | https://t.co/Hu7cnf8jZ9#CDSGeneralAnilChauhan #OperationSindoor #Pahalgamattack pic.twitter.com/yy5yH1DCcN
સીડીએસ જનરલ ચૌહાણે યુદ્ધની જુદી જુદી પદ્ધતિઓ પર કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં યુદ્ધ અને રાજકારણ સમાંતર રીતે ચાલી રહ્યાં હતા. પહેલગામમાં જે કંઈ બન્યું તેના કેટલાક અઠવાડિયા પહેલા જ પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે ભારત અને હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. આપણે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરી છે અને વિશ્વને આ અંગે માહિતગાર કર્યું છે.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા નુકસાન વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું, જ્યારે મને આપણા તરફથી થયેલા નુકસાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે મેં કહ્યું કે આ મહત્વપૂર્ણ નથી. પરિણામ અને તમે કેવી રીતે કાર્ય કરો છો, તે મહત્વપૂર્ણ છે. નુકસાન વિશે વાત કરવી બહુ યોગ્ય નથી.