પાકિસ્તાને કરી ભારતની નકલ, બિલાવલ ભુટ્ટો વિશ્વમાં રાખશે પાકિસ્તાનનો પક્ષ- Gujarat Post

10:57 AM May 18, 2025 | gujaratpost

લાહોરઃ આતંકવાદને આશ્રય આપનારું પાકિસ્તાન દરેક પગલે દરેક મોરચે ભારત સામે હારી રહ્યું છે. પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત લઈને પાડોશી દેશના ભ્રામક પ્રચારને તોડી પાડ્યો હતો. આ પછી સરકારે સાંસદોની 7 ટીમોને વિશ્વભરમાં મોકલીને પાકિસ્તાનનો નાપાક ચહેરો ઉજાગર કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સિયાલકોટની પસરૂર છાવણી પહોંચ્યાં હતા અને હવે તેમણે ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને વર્તમાન વાતાવરણ અંગે વૈશ્વિક સ્તરે પાકિસ્તાનનો પક્ષ રાખવા કહ્યું હતું.

આ જાહેરાત બિલાવલે પોતે કરી હતી. તેમણે એક્સ પર લખ્યું કે શહબાઝ શરીફે તેમનો સંપર્ક કર્યો અને તેમને એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા કહ્યું. તેમણે લખ્યું, આજે સવારે વડાપ્રધાને મારો સંપર્ક કર્યો. તેમણે વિનંતી કરી કે હું આંતરરાષ્ટ્રીય મંચ પર શાંતિ માટે પાકિસ્તાનનો પક્ષ રાખવા માટે એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરું. હું આ જવાબદારી સ્વીકારું છું. હું આ પડકારજનક સમયમાં પાકિસ્તાનની સેવા કરવા માટે પ્રતિબદ્ધ રહેવા માટે સન્માનિત અનુભવું છું.

પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે ફરી એકવાર ભારત સાથે વાતચીત માટે વિનંતી કરી હતી. તેમણે શનિવારે એક મીડિયા ચેનલને જણાવ્યું કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અમલમાં છે. તણાવ ઘટાડવાની દિશામાં કામ યોગ્ય દિશામાં થઈ રહ્યું છે. અમે યોજનાઓ પર અમલ કરી રહ્યા છીએ. આગળનું પગલું વાતચીત જ છે.

આ પહેલાં પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, ભારત સરકાર આતંકવાદ સામેના તેના ઝીરો ટોલરન્સના સંદેશને વૈશ્વિક મંચ પર મજબૂતાઈથી મૂકવા માટે સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોને મુખ્ય સહયોગી દેશોમાં મોકલશે. પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં રવાના થશે. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો અને તેમાં સામેલ અન્ય લોકોની યાદી બહાર પાડી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++