અમદાવાદમાં રહેતા સુનિતાના પિતરાઈ ભાઈએ ભગવાનનો આભાર માન્યો
અવકાશ યાત્રીઓને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યાં
અમદાવાદઃ 9 મહિના અવકાશમાં વિતાવ્યાં બાદ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોર પૃથ્વી પર સલામત રીતે પરત ફર્યા હતા. ભારતીય સમય મુજબ બંને અવકાશયાત્રીઓ બુધવારે (19 માર્ચ, 2025) સવારે 3.30 વાગ્યે ફ્લોરિડાના દરિયા કિનારાની નજીક સુરક્ષિત રીતે ઉતર્યા હતા. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયા બાદ અવકાશયાત્રીઓ 17 કલાકની મુસાફરી પછી પૃથ્વી પર પાછા ફર્યા હતા.
સુનિતા વિલિયમ્સના પૈતૃક ગામ ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ગામના લોકોએ આતશબાજી સેલિબ્રેશન કર્યું હતું. સુનિતા વિલિયમ્સ પરત આવતાં જ ગામમાં જશ્ન શરૂ થઈ ગયો હતો.સુનિતા વિલિયમ્સ 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરતાં અમદાવાદમાં રહેતા તેમના પિતરાઈ ભાઈ દિનેશ રાવલે કહ્યું, જ્યારે તે પૃથ્વી પર આવી ત્યારે અમે આનંદથી નાચી ઉઠ્યાં હતા. છેલ્લા 24 કલાકમાં હું ખૂબ જ ચિંતિત હતો. ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને તે હેમખેમ પરત આવી. સુનિતા કોઈ સાધારણ વ્યક્તિ નથી, તે સમગ્ર વિશ્વને બદલી નાંખશે.
ઈલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ મંગળવારે સવારે સુનિતા અને વિલ્મોર તેમજ અન્ય બે અવકાશ યાત્રીઓ સાથે આઈએસએસથી અનડોક થયું હતું. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સાથે ક્રૂ-9 ના બે અન્ય અવકાશયાત્રીઓ, નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પૃથ્વી પર પરત ફર્યા હતા.
અવકાશ યાત્રીઓને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યાં હતા. અવકાશયાત્રીઓ અવકાશથી પાછા ફર્યા પછી તરત જ ચાલી શકતા નથી. તેના શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થયા હોય છે. આવી સ્થિતિમાં, નાસા આ અંગે સુરક્ષા પ્રક્રિયાઓ અપનાવે છે. સુનિતા વિલિયમ્સે સુરક્ષિત પરત ફર્યા બાદ હાથ હલાવીને ખુશી વ્યક્ત કરી અને મિશન દરમિયાનના પોતાના અનુભવો શેર કર્યા હતા, નાસાએ એમ પણ કહ્યું કે આ મિશનમાંથી મેળવેલા અનુભવોમાંથી શીખ લઇને ભવિષ્યની અવકાશ યાત્રાને વધુ સુરક્ષિત બનાવવા માટે કામ કરવામાં આવશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++