આણંદઃ આંકલાવ તાલુકાના અંબાવ ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ કરાયો છે. ગંભીર રીતે દાઝી ગયેલા આધેડ હાલ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરપંચ સહિત 5 લોકો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
જીવન મર વચ્ચે ઝોલા ખાઇ રહેલા અંબાવ ગામના ભરતભાઇ પઢિયારે જણાવ્યું કે તેમના ગામમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે જીલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી. વારંવાર અરજી કરવા છતા કોઇ ન્યાય ન મળતા તેમને મીડિયામાં નિવેદન આપ્યું હતું.
તેમના નિવેદનને લઇને સંરપચના પતિએ તેમને ધમકી આપી હતી કે તે તેમને જીવતા છોડશે નહીં. ધમકી આપ્યા થોડા દિવસ પછી તેઓ ઘંટીએ જતા તે સમયે સંરપચ કોકિલાબેન, તેમના પતિ દિનેશભાઇ, તેમનો પુત્ર નિલેશભાઇ, રાજેશભાઇ અને તેમના ભત્રીજાએ તેમને ગડદાપાટુ કરીને માર માર્યો હતો.
ભરતભાઇને માર મારતા મારતા ગામ વચ્ચે લઇ ગયા અને તેમના પર પ્રેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી હતી. તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે આંકલાવ પોલીસે સરપંચ સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++