અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 318 માનવ અંગો મળ્યા, 100 ફોન એફએસએલમાં મોકલાયા

10:29 AM Jun 20, 2025 | gujaratpost

અમદાવાદઃ શહેરમાં બનેલી વિમાન દુર્ઘટનાને એક સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે. મેઘાણીનગર આઇજીપી કંપાઉન્ડમાં આવેલી મેસ અને મેડિકલ હોસ્ટેલ પર પ્લેન ક્રેશ થવાની ઘટનામાં પોલીસ દ્વારા તપાસને લગતી, મૃતદેહો સોંપવાની તેમજ અન્ય કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્લેન ક્રેશ થવાની ઘટનામાં અમદાવાદ પોલીસે અન્ય એજન્સીઓ સાથે મળીને કરેલી કામગીરીની નોંધ ઉચ્ચ કક્ષાએ લેવામાં આવી છે. જેમાં પ્લેન ક્રેશની ઘટના બાદ ઇજાગ્રસ્તોને લઇ જવા તેમજ ફાયરબ્રિગેડના વાહનોને ઘટના સ્થળે પહોંચતા કરવા માટે પોલીસ દ્વારા ખાસ કોરીડોર તૈયાર કરાયો હતો. આ સાથે સ્થળ પરથી મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કામગીરી અને ડીએનએ સેમ્પલ ગાંધીનગર સુધી પહોંચતા કરવાની કામગીરી માટે પણ ખાસ ટીમ તૈયાર કરવામાં આવી હતી.

પોલીસ અને અન્ય એજન્સીઓની મદદથી સ્થળ પર કરવામાં આવેલી તપાસમાં કુલ 318 માનવ અંગો મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ થાય તે માટે ડીએનએ સેમ્પલ ઘટનાના 11 કલાકમાં ગાંધીનગર એફએસએલ પહોંચતા કરવાની કામગીરી કરવામાં આવી હતી. અકસ્માતની ઘટના બની ત્યારે કુલ છ મૃતદેહો તાત્કાલિક ઓળખાયા હતા. જે 12 કલાકમાં તેમના પરિવારજનોને સુપરત કરાયા હતા.

પોલીસને સ્થળ પરથી મુસાફરોના સામાનની સાથે 100 જેટલા મોબાઇલ ફોન પણ મળી આવ્યા હતા. આ મોબાઇલ ફોનમાં પેસેન્જરો પૈકી કેટલાંક  લોકો દ્વારા વિમાન ટેક ઓફ થતા સમયે વીડિયો કે ફોટો શૂટ કર્યા હોય શકે છે. જેથી તપાસ માટે આ તમામ ફોન ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.  સ્થળ પંચનામુ કરવાથી માંડીને અકસ્માત મોતનો ગુનો નોંધવાની કામગીરી ઝડપી બને તે માટે 11 પોલીસ ઇન્સ્પેક્ટર ઉપરાંત, 200 પોલીસ કર્મીઓના સ્ટાફ દ્વારા સતત 36 કલાક સુધી કામગીરી કરીને અકસ્માત મોતની નોંધ કરવામાં આવી હતી.

Trending :

પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું કે  પ્લેન ક્રેશ થવાનો મેસેજ બપોરે 1.40 કલાકે પોલીસ કંટેલ રૂમ પર આવ્યો હતો.ત્યારબાદ બે થી ત્રણ મિનિટમાં ડીજીપી, ગૃહમંત્રી અને ગૃહવિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન 1.55 કલાકે ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ઝોન-4 તેમજ અન્ય પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++