પડધરી હત્યાકાંડ: બેદરકારી બદલ બે PI અને PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

05:50 PM May 22, 2026 | gujaratpost

રાજકોટઃ જિલ્લાના પડધરી તાલુકામાં દુષ્કર્મ કેસના આરોપીઓ પકડાય તે પહેલાં જ પીડિતાના પિતાની હત્યા કરી દેવામાં આવી હતી.આ મામલે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા કડક પગલાં લેવામાં આવ્યાં છે. પોક્સો જેવા ગંભીર કેસની તપાસમાં બેદરકારી દાખવનારા પડધરી પોલીસ સ્ટેશનના બે તત્કાલીન PI, એક PSI, એક ASIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે, જેના કારણે પોલીસ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓમાં એચ.એન. રાઠોડ, તત્કાલીન PI, પડધરી, એસ.એન. પરમાર, તત્કાલીન PI, પડધરી, જે.જે. વાળા PSI, પડધરી તથા ભગીરથસિંહ જાડેજા ASI  નો સમાવેશ થાય છે.

વર્ષ 2024માં પડધરી પોલીસ સ્ટેશનમાં સગીરા પર દુષ્કર્મ અંગે આરોપીઓ મહેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા અને અજયસિંહ વિરુદ્ધ ફરિયાદ થઇ હતી. જેમાંથી માત્ર અજયસિંહની ધરપકડ થઈ હતી, જ્યારે બાકીના બે આરોપીઓ નાસતા ફરતા હતા.

ફરાર આરોપીઓ દ્વારા પીડિતાના પિતા પર કેસ પાછો ખેંચવા દબાણ કરવામાં આવતું હતું. ફરિયાદીએ નમતું ન જોખતા, ગત 20 મેના રોજ આરોપીઓએ પડધરી તાલુકામાં તેમની ગાડી સાથે વાહન અથડાવી, બાદમાં છરીના ઘા ઝીંકી તેમની ઘાતકી હત્યા કરી હતી.

સસ્પેન્ડ કરાયેલા તત્કાલીન પી.આઇ. એસ.એન. પરમાર અગાઉ પણ સસ્પેન્ડ થયા હતા. લોધિકા તાલુકાના માખાવડ ગામના એક ફાર્મ હાઉસમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા રૂ. 11.26 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. ચૂંટણીના સમયે સ્થાનિક પોલીસની મિલીભગત કે બેદરકારી સામે આવતા રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે ત્યારે પણ એસ.એન. પરમાર સહિત અન્ય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા.