શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુશ્રી ગોપાળાાનંદજી સ્વામીની વાતો' નામના પુસ્તકની વાર્તાનો વિવાદ
દ્વારકાઃ સ્વામિનારાયણ સંપ્રદાયના 'શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુશ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો' નામના પુસ્તકમાં ભક્તોને દ્વારકાના બદલે વડતાલ જવાની વાત કરવામાં આવી છે. જેને લઈને આજે (25 માર્ચ) દ્વારકામાં હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓનો વિરોધ કરવામાં આવ્યો. આ સાથે વિવાદિત લખાણ હટાવવા માટે બે દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. હાલ આ મુદ્દે સનાતન ધર્મના અનુયાયીઓ રોષે ભરાયેલા છે.
ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લઇને દ્વારકાના મુખ્ય માર્ગો પર ભક્તો દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે દ્વારકાધીશ મંદિરથી પ્રાંત કચેરી સુધી રેલી યોજાઈ હતી. દરમિયાન સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતા. ત્યારબાદ તમામ લોકો દ્વારકા પ્રાંત કચેરીએ પહોંચીને પ્રાંત અધિકારીને આ બાબતે અરજી આપી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીને મધ્યસ્થી કરી આ બાબતે સમાજને ન્યાય અપાવવાનું આહ્વાન કર્યું છે.
હિંદુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માંગવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. આજની રેલીમાં ભૂદેવો, બ્રહ્મ સમાજ, આહિર સેના, હિંદુ સેના સહિતના સંગઠનોએ ભાગ લીધો હતો. આ સંતે ગૂગળી બ્રાહ્મણ સમાજ અંગે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી. ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિની યુવા ટીમે સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકોએ આવી અભદ્ર ટિપ્પણી કરી છે તેમને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે ગત દિવસોમાં દ્વારકા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક પુસ્તકમાં ભગવાન શ્રી કૃષ્ણ અને દ્વારકા અંગે જે ટિપ્પણી લખવામાં આવી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/