હોર્મુઝની ખાડી પાર કરીને બે ભારતીય LPG જહાજો રવાના, 16- 17 માર્ચે ગુજરાત પહોંચવાની શક્યતા

05:35 PM Mar 14, 2026 | gujaratpost

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ દિન-પ્રતિદિન વધુ ભયાનક બની રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયેલના ભીષણ હુમલાઓથી ધગધગી રહેલું ઈરાન પણ જોરદાર પલટવાર કરી રહ્યું છે. મિસાઈલો અને ડ્રોનના ગડગડાટ વચ્ચે આ સંઘર્ષ હવે પંદરમા દિવસમાં પ્રવેશ્યો છે. હોર્મુઝમાં જહાજો પર હુમલા ચાલુ છે અને સમગ્ર વિસ્તાર તણાવની લપેટમાં છે. આવા સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું યુદ્ધ અંગેનું કડક વલણ અને અખાતી દેશોમાં વધતો સંઘર્ષ વૈશ્વિક રાજનીતિ માટે મોટું સંકટ સાબિત થતું જણાય છે.

ભારતે જણાવ્યું છે કે ઝડપથી બદલાતી પરિસ્થિતિઓ પર સરકારની પેની નજર છે. શિપિંગ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, LPG લઈને આવી રહેલા ભારતીય ધ્વજ ધરાવતા બે જહાજો આજે સવારે હોર્મુઝની ખાડીને સુરક્ષિત રીતે પાર કરી ગયા છે.

શિવાલિક અને નંદા LPG કેરિયર 92,700 મેટ્રિક ટન ગેસ સાથે 16 અને 17 માર્ચના રોજ ગુજરાતના મુંદ્રા અને કંડલા પોર્ટ પર આવી પહોંચશે. શિપિંગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 30 ભારતીય નાવિકોને સફળતાપૂર્વક ભારત પરત લાવવામાં આવ્યા છે. હાલમાં LPG કેરિયર્સને બંદર પર પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં વિશ્વના અન્ય ભાગોમાંથી આવેલા 6 LPG જહાજોને પ્રાથમિકતાના ધોરણે પ્રવેશ અપાયો છે.

શિપિંગ મંત્રાલયના અધિકારીઓના કહેવા પ્રમાણે, મંત્રાલય અને ખાસ કરીને શિપિંગ ડાયરેક્ટોરેટ જનરલ, જહાજ માલિકો, RPSN એજન્સીઓ અને ભારતીય રાજદ્વારી મિશન સાથે તાલમેલ સાધીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.