પ્રયાગરાજમાં મહાબોધિ એક્સપ્રેસ પર પથ્થરમારો, અનેક મુસાફરો ઘાયલ થયા

10:31 AM Sep 24, 2024 | gujaratpost

ઉત્તર પ્રદેશઃ પ્રયાગરાજમાં મહાબોધિ એક્સપ્રેસ પર અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હોવાના સમાચાર સામે આવ્યાં છે. ઘટના સમયે મહાબોધિ એક્સપ્રેસ નવી દિલ્હીથી બિહારના ગયા જઈ રહી હતી. પથ્થરમારો થતાં જ ટ્રેનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને મુસાફરો બોગીમાં જ ભાગવા લાગ્યા હતા. પથ્થરમારામાં ઘણા મુસાફરો ઘાયલ થયા છે. પથ્થરમારાની આ ઘટના સોમવારે રાત્રે યમુના પુલ પાસે બની હતી અને બોગીને નિશાન બનાવીને અનેક પથ્થરો ફેંકવામાં આવ્યાં હતા. આરપીએફની સૂચના પર મિર્ઝાપુર સ્ટેશન પર ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને ઘાયલોની સારવાર કરવામાં આવી હતી અને અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

છત્તીસગઢમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે

આ પહેલા જ છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં દુર્ગ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટ્રાયલ રન દરમિયાન પથ્થરમારો કરવાની ઘટના બની હતી. ત્યારબાદ રેલવે પ્રોટેક્શન ફોર્સે ટ્રેન પર પથ્થરમારો કરવા બદલ 5 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના 13 સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ 9 વાગ્યે બાગબહરા રેલવે સ્ટેશન નજીક બની હતી, જ્યારે ટ્રેન 'ટ્રાયલ રન' દરમિયાન વિશાખાપટ્ટનમથી દુર્ગ પરત ફરી રહી હતી. ટ્રેન દુર્ગથી 'ટ્રાયલ રન' માટે રવાના થઈ અને રાયપુરમાંથી પસાર થઈને મહાસમુંદ પહોંચી હતી.

પાછા ફરતી વખતે બગબહરા પાસે ચાલતી ટ્રેન પર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે 3 કોચ C2, C4 અને C9ની બારીના કાચને નુકસાન થયું હતું. ટ્રેનમાં મુસાફરી કરી રહેલી ટ્રેન સિક્યોરિટી ટીમે આ ઘટનાની જાણકારી આપી હતી, ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓની એક ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આ કેસમાં બાગબહરાના રહેવાસી શિવકુમાર બઘેલ, દેવેન્દ્ર ચંદ્રાકર, જીતુ ટંડી, લેખરાજ સોનવાણી અને અર્જુન યાદવની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે તમામ પાંચ બદમાશો સામે રેલવે એક્ટ 1989ની કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526