- સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા વાતાવરણમાં અસ્થિરતા વધી
- અમદાવાદમાં ગઈકાલે સાંજે આંધી સાથે વરસાદ પડ્યો હતો
- 7 થી 12 મે દરમિયાન વાતાવરણ ફરી શુષ્ક રહેવાની સંભાવના છે
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને ઊના તાલુકામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. હરમડીયા, પૂછવી, ધોકડવા અને બેડીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. કંસારી રોડ પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખાસ કરીને કેસર કેરી પકવતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેતરમાં તૈયાર પડેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, 6 મે ના રોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબીનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં પણ આગાહી છે. આ વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની શક્યતા છે.