+

યુરોપની લાલચમાં લિબિયામાં ફસાયા હતા: મહેસાણાનો પરિવાર ખંડણી ચૂકવીને હેમખેમ પરત ફર્યો

મહેસાણાઃ વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતના પરિવારો કેવી રીતે મુસીબતમાં મુકાય છે, તેનો વધુ એક હચમચાવી દેતો કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે. યુરોપ જવા નીકળેલા મહેસાણાના બદલપુરા (મેઉ) ગામના એક જ પરિવારના ત્ર

મહેસાણાઃ વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતના પરિવારો કેવી રીતે મુસીબતમાં મુકાય છે, તેનો વધુ એક હચમચાવી દેતો કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે. યુરોપ જવા નીકળેલા મહેસાણાના બદલપુરા (મેઉ) ગામના એક જ પરિવારના ત્રણ સભ્યો લિબિયામાં મરતા-મરતા બચ્યા છે. એજન્ટોની છેતરપિંડીને કારણે આ પરિવાર લિબિયાના અપહરણકારોના સકંજામાં ફસાઈ ગયો હતો, જેઓ હવે લાખો રૂપિયાની ખંડણી ચૂકવીને હેમખેમ વતન પરત ફર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણાનો આ પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યો હતો. જો કે, કબૂતરબાજ એજન્ટોએ વિશ્વાસઘાત કરીને આ પરિવારને પોર્ટુગલને બદલે લિબિયા ઉતારી દીધો હતો. લિબિયા પહોંચતા જ સ્થાનિક અપહરણકારોએ દંપતી અને તેમની માત્ર ત્રણ વર્ષની માસૂમ બાળકીને બંધક બનાવી લીધા હતા.

લિબિયામાં અપહરણકારોએ પરિવારને મુક્ત કરવા માટે શરૂઆતમાં 2 કરોડ રૂપિયાની માતબર રકમની ખંડણી માંગી હતી. અપહરણકારો વીડિયો કોલ મારફતે ભારતમાં રહેલા તેમના સ્વજનોને ધમકાવતા હતા અને પરિવારને મારી નાખવાની ધમકી આપતા હતા. અંતે, યુરોપમાં રહેતા પરિવારના ભાઈએ અપહરણકારો સાથે મધ્યસ્થી કરી અને રકમ બાબતે સમજૂતી કરી હતી.

અપહરણકારો અને એજન્ટોની ઉઘાડી લૂંટ વચ્ચે, પરિવારે કુલ 54 હજાર ડોલરની રકમ ઓનલાઈન માધ્યમથી ચૂકવી હતી. ઉપરાંત, દુબઈ સ્થિત એજન્ટોએ પણ એક કરોડ રૂપિયાની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે. નાણાં ચૂકવાયા બાદ અપહરણકારોએ પરિવારને મુક્ત કર્યો હતો અને હવે આ પરિવાર સુરક્ષિત રીતે ભારત પરત ફર્યો છે.

કબૂતરબાજ એજન્ટો સામે થશે કાયદેસરની કાર્યવાહી

મોતના મુખમાંથી પરત ફરેલા પરિવારે નક્કી કર્યું છે કે તેઓ આ છેતરપિંડી કરનાર એજન્ટો સામે કડક પોલીસ ફરિયાદ નોંધાવશે. આ મામલે મહેસાણા પોલીસ પણ પરિવારના નિવેદન નોંધીને આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના રેકેટમાં સંડોવાયેલા એજન્ટો સુધી પહોંચવા તપાસ હાથ ધરી શકે છે.

facebook twitter