રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત, રૂપિયા જમા કરાવતા મળ્યાં જામીન

08:42 PM Feb 16, 2026 | gujaratpost

મુંબઈઃ બોલિવૂડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવ વર્ષો જૂના ચેક બાઉન્સ કેસમાં કાનૂની સંકટનો સામનો કરી રહ્યાં છે. 16 ફેબ્રુઆરી, 2026 ના રોજ દિલ્હી હાઈકોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી. અગાઉની સુનાવણીમાં લોન ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ કોર્ટે રાજપાલ યાદવને સખત ઠપકો આપ્યો હતો. આ કોર્ટે રાજપાલના વકીલને વચગાળાના જામીન માટે બપોરે 3 વાગ્યા સુધીમાં રૂ.1.5 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

રાજપાલ યાદવ તરફથી રૂ.1.5 કરોડ જમા કરાવી દેવાતા અદાલતે તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. રાજપાલે 19 ફેબ્રુઆરીના રોજ તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે આ જામીન અરજી કરી હતી.

આ વિવાદ વર્ષ 2012થી શરૂ થયો હતો. રાજપાલ યાદવે પોતાની નિર્દેશિત ફિલ્મ અતા પતા લાપતા બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂ. 5 કરોડ ઉધાર લીધા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ જતાં રાજપાલ આ રકમ ચૂકવી શક્યા નહીં.

2018માં કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ અને વ્યાજ સાથે આ રકમ વધીને રૂ. 9 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ કેસમાં અભિનેતા અગાઉ બે વાર જેલની સજા કાપી ચૂક્યાં છે. રાજપાલ યાદવની આ મુશ્કેલીમાં ફિલ્મ જગત અને રાજકીય હસ્તીઓ તેમની વહારે આવી હતી. સલમાન ખાન, અજય દેવગન, વરુણ ધવન, સોનુ સૂદ, ગુરુ રંધાવા, મીકા સિંહ અને તેજ પ્રતાપ યાદવ જેવા દિગ્ગજોએ મદદનો હાથ લંબાવ્યો હતો.

અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે રાજપાલ યાદવને રકમ ચૂકવવા માટે 25- 30 તકો આપવામાં આવી હતી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં હતા. કોર્ટે ટકોર કરી હતી કે, તમે કોર્ટના આદેશને કારણે નહીં, પરંતુ તમારા પોતાના કામના કારણે જેલમાં છો.