દેશમાં વન નેશન, વન ઇલેક્શન મંજૂર: 191 દિવસમાં તૈયાર કરાયેલા રિપોર્ટમાં આપવામાં આવ્યાં છે આ સૂચનો

08:57 PM Sep 18, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ મોદી કેબિનેટે વન નેશન, વન ઈલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે દેશની 543 લોકસભા બેઠકો અને તમામ રાજ્યોની કુલ 4130 વિધાનસભા બેઠકો માટે એક સાથે ચૂંટણી યોજવાનો માર્ગ ખુલી ગયો છે. એક દેશ, એક ચૂંટણી પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિના અહેવાલ બાદ કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી છે. એક દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે દેશમાં કોઈપણ સંજોગોમાં 2029 પહેલા વન નેશન વન ઈલેક્શન લાગુ કરવામાં આવશે.

78માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર પ્રચાર કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં દર છ મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણી થઈ રહી છે. આવી સ્થિતિમાં દેશને આગળ લઈ જવા માટે વન નેશન, વન ઈલેક્શનને આગળ લાવવું પડશે.

મોદી સરકારના 100 દિવસ પૂર્ણ થવા પર ગૃહમંત્રી અમિત શાહ કહ્યું હતું કે અમારી યોજના આ સરકારના કાર્યકાળ દરમિયાન વન નેશન વન ઇલેક્શન લાગુ કરવાની છે. આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Trending :

વન નેશન વન ઇલેક્શન એટલે શું ?

વન નેશન, વન ઈલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ. દેશની તમામ 543 લોકસભા બેઠકો અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 4130 વિધાનસભા બેઠકો માટે એકસાથે ચૂંટણી યોજાશે. મતદારો એક જ દિવસે, એક જ સમયે, સાંસદો અને ધારાસભ્યોને પસંદ કરવા માટે તેમનો મત આપી શકશે.

વર્તમાન ચૂંટણી પ્રણાલી શું છે ?

હાલમાં દેશમાં અલગ-અલગ સમયે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે.

શું આ ચૂંટણી પ્રણાલી દેશ માટે નવી છે ?

આ વિચાર ભારત માટે નવો નથી. દેશમાં આઝાદી પછી, 1952 થી 1957, 1962 અને 1967 દરમિયાન લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. ઘણી વિધાનસભાઓ 1968 અને 1969 માં નિર્ધારિત સમય પહેલા ભંગ કરવામાં આવી હતી. 1970માં લોકસભાનું પણ અકાળે ભંગ કરવામાં આવી હતી. 

સમિતિએ કેટલા દિવસમાં અહેવાલ તૈયાર કર્યો ?

વન નેશન વન ઈલેક્શનને લઈને 2 સપ્ટેમ્બર, 2023ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેની અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરી રહ્યાં હતા. સમિતિના સભ્યોએ 7 દેશોની ચૂંટણી પ્રણાલીનો અભ્યાસ કર્યો હતો.

નિષ્ણાતો સાથે ચર્ચા અને સંશોધન બાદ 191 દિવસમાં 18 હજાર 626 પાનાનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આ રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં તમામ એસેમ્બલીનો કાર્યકાળ 2029 સુધી લંબાવવાનું સૂચન કરવામાં આવ્યું છે.

વન નેશન વન ઇલેક્શન કમિટીના સભ્યો કેટલા અને કોણ છે ?

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, એક વકીલ, ત્રણ નેતાઓ અને ત્રણ ભૂતપૂર્વ અધિકારીઓ સહિત 8 લોકો સમિતિના સભ્ય છે

- રામનાથ કોવિંદ, અધ્યક્ષ (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ)
- હરીશ સાલ્વે, વરિષ્ઠ વકીલ
- અમિત શાહ, ગૃહમંત્રી
- અધીર રંજન ચૌધરી, કોંગ્રેસ નેતા
- ગુલામ નબી, ડીપીએ પાર્ટી
- ઇન્કે સિંઘ, 15મા નાણાપંચના ભૂતપૂર્વ અધ્યક્ષ
- સુભાષ કશ્યપ, લોકસભાના પૂર્વ મહામંત્રી

- સંજય કોઠારી, ભૂતપૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર

સમિતિએ શું સૂચનો આપ્યાં ?

તમામ વિધાનસભાઓનો કાર્યકાળ આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029 સુધી લંબાવવો જોઈએ.

પ્રથમ તબક્કામાં લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ અને પછી બીજા તબક્કામાં 100 દિવસમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવી જોઈએ.

ચૂંટણી પંચે લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે એક મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરવું જોઈએ.

દેશમાં એકસાથે ચૂંટણી યોજવા માટે સાધનો, માનવબળ અને સુરક્ષા દળોનું આગોતરું આયોજન કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526