સિંગરે તબલા વાદક સાથે તાજેતરમાં કર્યા છે પ્રેમ લગ્ન
અલ્પેશ કથીરિયા મેદાનમાં આવ્યો
સુરત: લોકગાયિકા કિંજલ દવેના આંતરજ્ઞાતિય સગાઈના વિવાદની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ પાટીદાર સમાજની વધુ એક જાણીતી સિંગર આરતી સાંગાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરી લેતા નવો વિવાદ છેડાયો છે. જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીએ ગોંડલના વતની અને તબલા વાદક દેવાંગ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. મળતી માહિતી મુજબ, છેલ્લા દોઢ વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને ગત 16 ડિસેમ્બરના રોજ તેઓએ લગ્ન કરી લીધા હતા. દેવાંગ ગોહેલ આરતીના અનેક સંગીતના કાર્યક્રમોમાં તબલા વગાડતો હતો, જ્યાંથી બંનેની મુલાકાત થઈ હતી.
સમાજમાં બહિષ્કારની માંગ અને વિરોધ
આરતી સાંગાણીના આ પગલાથી પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. સોશિયલ મીડિયા પર અનેક પાટીદાર સંગઠનો અને આગેવાનો દ્વારા આરતીનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. એવી પણ અપીલ કરવામાં આવી રહી છે કે પટેલ સમાજના કોઈ પણ કાર્યક્રમમાં તેને બોલાવવી નહીં અને જો તેના કાર્યક્રમો યોજાય તો ત્યાં જઈને વિરોધ કરી પ્રોગ્રામ બંધ કરાવવો.
પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આ મામલે જણાવ્યું કે, આરતીના માતા-પિતાએ 10 દિવસ પહેલા જ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. દીકરી પોતાના માતા-પિતા સાથે સીધી વાત કરવાને બદલે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને જવાબ આપી રહી છે, જે પરિવાર માટે આઘાતજનક છે. આરતી આજે જે સ્થાન પર છે તેની પાછળ તેના માતા-પિતા અને સમાજનો સિંહફાળો છે. જ્યારે કોઈ વ્યક્તિ સમાજમાં જાણીતી બને ત્યારે તેના નિર્ણયોની સમાજ પર શું અસર થશે તે વિચારવું જોઈએ. આરતીએ તેને મળેલી સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો છે.
હાલમાં સોશિયલ મીડિયા પર આ મુદ્દો ગરમાયો છે અને પાટીદાર સમાજના લોકો આંતરજ્ઞાતિય લગ્ન સામે વિરોધ નોંધાવી રહ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/