ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યના ગૌરવ સમાન સિંહનો પ્રશ્ન ઉભો થયો હતો. અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછ્યું હતું કે, 31-01-2026ની સ્થિતિએ રાજ્યમાં કેટલા સિંહ, સિંહણ અને સિંહબાળ છે. ઉપરાંત બે વર્ષમાં કેટલાના મોત થયા.
જવાબ આપતાં વન મંત્રીએ કહ્યું કે, 31-01-2026ની સ્થિતિએ સિંહ 255, સિંહણ 405 અને સિંહબાળ 231 છે. છેલ્લા બે વર્ષમાં 75 સિંહ, 91 સિંહણ, 148 સિંહબાળના મોત થયા છે.
આ સમયગાળા દરમિયાન 58 સિંહ, 67 સિંહણ અને 126 સિંહબાળના કુદરતી તથા 17 સિંહ, 24 સિંહણ અને 22 સિંહબાળના અકુદરતી મોત થયા છે.
સિંહ, સિંહણ અને સિંહબાળના અકુદરતી મોત અટકાવવા સરકારે, સિંહ તથા અન્ય વન્યપ્રાણીઓને બિમારી- અકસ્માત વખતે સારવાર માટેવેટરનરી ઓફીસરની નિમણૂંક કરેલ છે, અદ્યતન લાયન એમ્બ્યુલન્સની વ્યવસ્થા,વન્યપ્રાણી સારવાર કેન્દ્રોની વ્યવસ્થા, સિંહોને રેડિયો કોલરીંગ કરવાની કામગીરી કરવામાં આવેલ છે, સાસણ ખાતે હાઇટેક મોનીટરીંગ યુનિટની સ્થાપના અને જુનાગઢના સકકરબાગ તથા બરડાના સાતવિરડા ખાતે કોરેન્ટાઇન ઝોન બનાવવામાં આવેલ છે.
અભયારણ્ય વિસ્તારમાંથી પસાર થતા જાહેર માર્ગો પર સ્પીડ બ્રેકરો મુકવામાં આવેલા છે તથા ગીર બોર્ડર અને તેના આસપાસનાં રેવન્યું વિસ્તારોમાં અસુરક્ષિત ખુલ્લા કુવાઓને પારાપેટ વોલ બાંધી સુરક્ષિત કરવાની કામગીરી વન વિભાગ ધ્વારા હાથ ધરાયેલ છે અને રાજુલા-પીપાવાવ રેલ્વે ટ્રેકની આજુ-બાજુ ચઈનલીંક ફેન્સીંગ કરવામાં આવેલ છે.
વન્યપ્રાણીઓના રેસ્કયું માટે રેપીડ એકશન ટીમ તથા રેસ્કયું ટીમની રચના કરવામાં આવેલ છે .સિંહ તથા અન્ય વન્યપ્રાણીઓની હત્યા અટકાવવા ક્ષેત્રિય સ્ટાફ ધ્વારા સતત ફેરણા અને નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવે છે. સ્ટાફને વાહન, હથિયાર, વોકીટોકી વગેરે ફાળવવામાં આવેલ છે.
સમયાંતરે પોલીસ વિભાગ, વન વિભાગ અને પી.જી.વી.સી.એલ વિભાગ ધ્વારા સંયુકત પેટ્રોલીંગ પણ કરવામાં આવે છે,વધુમાં 4-ચેકીંગનાકા પર સી.સી.ટી.વી કેમેરા મુકવામાં આવેલ છે. સિંહોની અવર-જવર વાળા વિસ્તારમાં તકેદારી રાખવા માટે વન્યપ્રાણી મિત્રો, ટ્રેકર્સ રાખવામાં આવેલ છે તથા લોકજાગૃતિના કામો કરવામાં આવે છે. વન્યપ્રાણી સંરક્ષણમાં સહકાર આપવા માટે જાહેર માર્ગો પર સાઈન બોર્ડ મુકવામાં આવેલ છે.