અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ હવામાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધી ગયું છે.ચાર મુખ્ય શહેરો- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં હવાની ગુણવત્તા (AQI - એર ક્વોલિટી ઈન્ડેક્સ) 180ને પાર કરી ગઈ છે. સવાર અને સાંજના સમયે તો આ AQI 200ને પણ પાર કરી જાય છે, જે અનહેલ્થી (બિનઆરોગ્યપ્રદ) ગણાય છે.
નવેમ્બર 2025માં AQIના આંકડા મુજબ, અમદાવાદ અને રાજકોટમાં છેલ્લાં પાંચ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અમદાવાદમાં 19 નવેમ્બરે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી વધુ AQI 194 નોંધાયો હતો. છેલ્લા 8 દિવસથી 200ની નજીક રહે છે. રાજકોટમાં 19 નવેમ્બરે સૌથી વધુ 197 AQI નોંધાયો, જે નવેમ્બર મહિનામાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ છે.
સુરત અને વડોદરામાં પ્રદૂષણ વધ્યું છે. વડોદરામાં 17 નવેમ્બરે AQI 184 પર પહોંચ્યો હતો. ડૉક્ટરોએ વધતા પ્રદૂષણ અંગે લોકોને ચેતવ્યાં છે. તેમના કહેવા મુજબ, બાળકો, વૃદ્ધો અને ખાસ કરીને શ્વાસ (અસ્થમા) તથા હૃદયરોગના દર્દીઓને આ પ્રદૂષણથી વધારે નુકસાન થાય છે. પ્રદૂષણને કારણે દર્દીઓને છાતીમાં ભારેપણું, એલર્જી, છીંકો આવી શકે છે. ઘણા શ્વાસની બીમારીવાળા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે. નાના બાળકોમાં ન્યુમોનિયાના કેસ વધી શકે છે અને શ્વાસની તકલીફો ધરાવતા લોકોને પણ જોખમ વધી રહ્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/