અમદાવાદ: વહેલી સવારે થલતેજ ગુરુદ્વારા પાસે આવેલા અંડરબ્રિજ પર એક મોટો અકસ્માત થયો હતો. સવારે લગભગ 5 વાગ્યે, એસ.જી હાઇવે પરના અંડરબ્રિજમાં એક આઇશર ટ્રક બંધ પડી ગઈ હતી. આ દરમિયાન, એક કિયા સેલ્ટોસ કાર ઝડપથી થલતેજથી ઇસ્કોન તરફ જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત થયો હતો.
કારની સ્પીડ એટલી વધારે હતી કે ડ્રાઇવર બંધ પડેલી ટ્રક જોઈ શક્યો નહીં અને કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ હતી. આંબલીના કાર ચાલક આર્યન બત્રાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે તેમને લઇ જવાયા હતા, પરંતુ તેમનું મોત થયું હતુ. કારમાં તેમની સાથે બેઠેલી તેમની બે મિત્રો, પ્રિયાંશી ચોક્સી અને કીર્તી અગ્રવાલ પણ ઈજાગ્રસ્ત થઈ હતી. આ બંને નવરંગપુરાની PG હોસ્ટેલમાં રહેતી હતી. અકસ્માત બાદ આઇશર ટ્રકનો ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.