અમદાવાદ: શહેરમાં બ્રિજની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. સુભાષ બ્રિજમાં તિરાડ અને સ્પાન બેસી જવાની ઘટના બાદ, વાડજ વિસ્તારમાં આવેલો મહર્ષિ દધીચિ ઓવરબ્રિજ પણ હવે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. 14 વર્ષ જૂના આ બ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા છે અને વાઇબ્રેશનમાં પણ વધારો થયો છે.
બ્રિજના મધ્ય ભાગમાં રોડની સરફેસ ઉખડી ગઈ છે, જેના કારણે લોખંડના સળિયા બહાર આવી ગયા છે. અનેક જગ્યાએ ખાડા પણ જોવા મળી રહ્યાં છે. જ્યારે પણ આ બ્રિજ પરથી ભારે વાહન પસાર થાય છે, ત્યારે બ્રિજમાં ખૂબ જ વધારે ધ્રુજારી (વાઇબ્રેશન) અનુભવાય છે, જે વાહનચાલકો માટે ચિંતાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે સુભાષ બ્રિજ સમારકામ માટે બંધ હોવાથી શાહીબાગ અને દિલ્હી દરવાજા તરફ જતા રોજના આશરે 1 લાખથી વધુ વાહનો હાલ દધીચિ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યું હતું. સુભાષ બ્રિજની ઘટના બાદ તમામ બ્રિજની તપાસના આદેશ અપાયા હોવા છતાં, સૌથી વધુ ટ્રાફિક ધરાવતા આ બ્રિજની આવી હાલત સામે આવતા કન્સલ્ટન્ટ એજન્સી અને બ્રિજ પ્રોજેક્ટ વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે.
હાલ એક તરફ મુખ્ય બ્રિજ (સુભાષ બ્રિજ) બંધ છે અને બીજી તરફ ડાયવર્ઝન માટે વપરાતો આ બ્રિજ પણ જોખમી સાબિત થઈ રહ્યો છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.