હનોઈ: વિયેતનામમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ આપત્તિમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે અને અંદાજે 52,000 ઘરોને નુકસાન થયું છે.લગભગ 62,000 લોકોને પોતાના ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું છે.
મધ્ય વિયેતનામમાં પૂરે તબાહી મચાવી
મધ્ય વિયેતનામમાં મુશળધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન થયું છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર 41 લોકોનાં મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ ટીમો કામ કરી રહી છે. ડૂબી ગયેલા ઘરોની છત પર લોકો ફસાયેલા છે. તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. છેલ્લા ત્રણ દિવસમાં પ્રદેશના ઘણા ભાગોમાં 150 સેન્ટિમીટરથી વધુ વરસાદ પડ્યો છે.
પાણી કોફી ઉત્પાદક ક્ષેત્રમાં ભરાઈ ગયું
પૂરગ્રસ્ત વિસ્તાર કોફી ઉત્પાદક ક્ષેત્રમાં સૌથી મોટો છે, જે તેના દરિયાકિનારા અને પર્યટન માટે જાણીતો છે. વિયેતનામના પર્યાવરણ મંત્રાલયના જણાવ્યાં અનુસાર, 6 પ્રાંતોમાં કુલ 41 લોકોનાં મોત થયા છે. ઉપરાંત, 9 લોકો હજુ પણ ગુમ છે, તેમની શોધ ચાલુ છે.
ભૂસ્ખલનથી રસ્તાઓ બ્લોક થઈ ગયા
પૂરને કારણે 52,000 થી વધુ ઘરો ડૂબી ગયા છે. લગભગ 62,000 લોકોને બચાવવા પડ્યાં છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે, જેના કારણે અનેક મુખ્ય રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આ દરમિયાન આશરે 10 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
હવે કાલમેગી વાવાઝોડાનો ભય મંડરાઈ રહ્યો છે
વિયેતનામ ન્યૂઝ એજન્સી અનુસાર કાલમેગી વાવાઝોડું પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.તે મધ્ય વિયેતનામમાં લેન્ડફોલ કરી શકે છે. વિયેતનામ હવામાન વિભાગે ચેતવણી આપી છે કે હ્યુ શહેરથી ડાક લાક પ્રાંત સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણીનું સ્તર 0.3 થી 0.6 મીટર સુધી વધી શકે છે.
વિયેતનામીસ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત ભારે વરસાદ લાવશે તેવી અપેક્ષા છે, જેના કારણે નાની નદીઓ અને નાળાઓમાં અચાનક પૂર આવી શકે છે, ઢોળાવ પર ભૂસ્ખલન થઈ શકે છે અને શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં પૂર આવી શકે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/