કોંગ્રેસના શિબિરમાં પ્રતાપ દૂધાતની ગેરહાજરીની વેણુગોપાલે નોંધ લઈ શું કહ્યું?

08:52 PM Sep 12, 2025 | gujaratpost

જુનાગઢઃ ગુજરાતના જુનાગઢમાં કોંગ્રેસ દ્વારા તેના નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે આયોજિત શિબિરનો આજે ત્રીજો દિવસ છે. આજે રાહુલ ગાંધી પણ શિબિરમાં ભાગ લેવા ગુજરાતની મુલાકાતે છે.  કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી.વેણુગોપાલની કડક ચેતવણીએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વેણુગોપાલના નિવેદનથી અમરેલી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ પ્રતાપ દૂધાતનું પદ હવે જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી.વેણુગોપાલે એક પ્રશિક્ષણ શિબિરમાં આપેલા નિવેદનથી આ સંકેતો મળ્યા છે. તેમણે જણાવ્યું કે 41 જિલ્લા પ્રમુખો પૈકી એક જિલ્લા પ્રમુખ ગેરહાજર છે, અને આ ગેરહાજર પ્રમુખ પ્રતાપ દૂધાત છે, જેઓ શિબિરના પ્રથમ દિવસથી ગેરહાજર છે.

કે.સી.વેણુગોપાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસમાં હવે જે લોકો કામ કરશે તેમને પ્રમોશન આપવામાં આવશે, જ્યારે જેઓ કામ નહીં કરે તેમની પાસેથી પદ આંચકી લેવામાં આવશે. પ્રતાપ દૂધાત જિલ્લા અધ્યક્ષ બન્યા બાદ સંગઠનનું માળખું હજુ સુધી જાહેર કરી શક્યા નથી, તેને પણ તેમની ગેરહાજરીના કારણ સાથે જોડી શકાય છે.

આ તમામ અટકળો વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પ્રતાપ દૂધાતના કાકાનું અવસાન થયું હોવાથી તેઓ શિબિરમાં હાજર રહી શક્યા નથી. હેમાંગ રાવલે એમ પણ કહ્યું કે કે.સી.વેણુગોપાલ દ્વારા કોઈ પણ પ્રમુખના નામ જોગ ટિપ્પણી કરવામાં આવી નથી, અને આ મામલો અંગત છે.

સૂત્રોએ અગાઉની શિબિરમાં પણ ગેરહાજરી મુદ્દે પણ સ્પષ્ટતા કરી હતી કે તે સમયે તેમના કાકા હોસ્પિટલમાં હતા અને સિરિયસ હતા. અને તે મુદ્દે પ્રતાપ દૂધાતે ઈ મેઈલ કરી જાણ કરી હતી કે તેઓ શિબિરમાં હાજર નહીં રહી શકે. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે અને પ્રતાપ દૂધાતના પદને લઈને અનેક અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ આ મામલે શું નિર્ણય લે છે તે આગામી સમયમાં જોવા મળશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++