બારાબંકી: ઉત્તર પ્રદેશના બારાબંકીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે પૌરાણિક અવસનેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન દરમિયાન વીજળીનો વાયર તૂટીને પડી ગયો હતો, જેના કારણે ટીન શેડમાંથી કરંટ પસાર થયો હતો. કરંટના કારણે નાસભાગ મચી ગઈ હતી અને આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા અને લગભગ 29 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાંદરાઓએ ટીન શેડ પર ઇલેક્ટ્રિક વાયર પાડ્યો હતો.
શું છે આખો મામલો ?
બારાબંકી જિલ્લાના હૈદરગઢ વિસ્તારમાં આવેલા પૌરાણિક અવસનેશ્વર મહાદેવ મંદિરમાં રવિવારે રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી. શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે રાત્રે 12 વાગ્યા પછી જલાભિષેક માટે ભેગા થયેલા ભક્તોની ભારે ભીડ વચ્ચે જલાભિષેક શરૂ થયો હતો. દરમિયાન, લગભગ 2 વાગ્યે, મંદિર પરિષરમાં અચાનક કરંટ ફેલાઈ ગયો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. વાંદરાઓ ટીન શેડ પર કૂદ્યા હોવાથી વીજળીનો વાયર તૂટી જવાથી કરંટ ફેલાયો હતો.
ઘટના દરમિયાન, ભક્તોમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. લોકો ચીસો વચ્ચે દોડવા લાગ્યા હતા. અકસ્માતમાં બે ભક્તોના મોત થયા છે, જ્યારે 29 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મંદિર પરિસરમાં સુરક્ષા માટે પોલીસ ફોર્સ પહેલાથી જ હાજર હતી, પરંતુ અકસ્માતના સમાચાર મળતા જ ઘટનાસ્થળે ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. બધા ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હૈદરગઢ અને ત્રિવેદીગંજ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક ગંભીર ઘાયલોને બારાબંકીની જિલ્લા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/