સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા, દીકરીઓએ પૂનમને કરી હતી આ વિનંતી

06:35 PM Feb 28, 2026 | gujaratpost

  • પૂનમની જામીન અરજી પર આજે સુનાવણી થશે

સુરત: જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણમાં મુખ્ય આરોપી પૂનમ ભદોરિયાએ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. આ અરજીના વિરોધમાં શુક્રવારે પોલીસ અને મૂળ ફરિયાદીના વકીલ કલ્પેશ દેસાઈ દ્વારા સાત પાનાનું વિસ્તૃત સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી પૂનમ દ્વારા કરવામાં આવેલા માનસિક ત્રાસ અને મિલકત પડાવવાની લાલચના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.

એફિડેવિટમાં તુષાર ઘેલાણીના છેલ્લા શબ્દો અંગે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. દીકરીના લગ્નના એક દિવસ અગાઉ પૂનમનો ફોન આવ્યાં બાદ તુષારભાઈ ભારે હતાશામાં સરી પડ્યા હતા. તેમણે ભીની આંખે પરિવારને જણાવ્યું હતું કે, પૂનમ મને લગ્નમાં આવીને ભવાડા કરવાની અને બદનામ કરવાની ધમકી આપી રહી છે. તે વારંવાર મિલકત અને નાણાંની માંગણી કરે છે.આ લગ્ન પ્રસંગ પતી જાય બસ, હવે મારાથી જીવાતું નથી, હું હારી ગયો છું.

પોલીસ સોગંદનામા મુજબ, પિતાની કથળતી સ્થિતિ જોઈને તેમની બંને દીકરીઓ સ્વયં પૂનમ ભદોરિયાના ઘરે ગઈ હતી અને પિતાને હેરાન ન કરવા વિનંતી કરી હતી. તેમ છતાં, પૂનમે દીકરીઓને ધમકી આપી હતી કે જો મિલકતમાં હિસ્સો નહીં મળે તો તે તેમના પિતાનું જીવવાનું હરામ કરી દેશે.

એફિડેવિટમાં પૂનમની આર્થિક લાલચનો પણ વિગતે ઉલ્લેખ કરાયો છે.પૂનમે  ઇમોશનલ બ્લેકમેલ કરીને પેપીલોન શાળામાં 50 ટકા ભાગીદારી મેળવી લીધી હતી અને નફાની સાથે પગાર પણ વસૂલતી હતી. ઉમરા ઝોનમાં આવેલી અંદાજે રૂ. 1.07 કરોડની કિંમતની બે દુકાનો કોઈપણ નાણાકીય ચુકવણી વગર પોતાના નામે કરાવી લીધી હતી.