(File Photo)
હાલમાં જે 77 ફેરિયાઓ છે તેમને વેપાર કરવાની છૂટ અપાઇ
નવી સુનાવણી પછી કોઇ નિર્ણય થશે
અમદાવાદઃ શહેરના ઐતિહાસિક ભદ્ર પરિષરને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ વિસ્તારમાં યથાવત સ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ને મોટી રાહત આપી છે.
મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે ગુજરાત હાઈકોર્ટના 13 માર્ચ, 2026 ના ચુકાદા પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે ભદ્ર પ્લાઝામાં ફેરિયાઓને ફરીથી જગ્યા આપવા અને જો તેમ ન થાય તો અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી, જેનો અમલ 21 માર્ચથી થવાનો હતો. જો કે, હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જાહેર માર્ગો કે ફૂટપાથ પર કોઈ પણ પ્રકારની સ્ટ્રીટ વેન્ડિંગ પ્રવૃત્તિને મંજૂરી અપાશે નહીં. ગ્રાઉન્ડ પર હાલ જે સ્થિતિ છે તે જ જાળવી રાખવાની રહેશે.
AMC વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં મજબૂત પક્ષ રાખતા જણાવ્યું હતું કે, આ વિસ્તાર અત્યંત ગીચ અને ઐતિહાસિક રીતે સંવેદનશીલ છે. અગાઉ 1,500 થી વધુ ફેરિયાઓએ રસ્તાની આસપાસ દબાઇ કરી લીધું હતુ, જેના કારણે રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડતી હતી. રસ્તાઓ બ્લોક હોવાને કારણે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનોનું ત્યાં પહોંચવું અશક્ય બની ગયું હતું.
અગાઉ ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશનની આ રજૂઆતોને ગ્રાહ્ય રાખી ન હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે પરિસ્થિતિની ગંભીરતાને સમજીને આ મનાઈહુકમ આપ્યો છે.