ઓડિશાઃ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક દુ:ખદ ઘટના બની છે. રવિવારે સવારે લગભગ 4:30 વાગ્યે જ્યારે ભક્તો ભગવાનના દર્શન કરવા માટે શ્રી ગુંડીચા મંદિરની સામે મોટી સંખ્યામાં એકઠા થયા હતા, ત્યારે ધક્કામુક્કી અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
3 લોકોનાં મોત, 10 થી વધુ ઘાયલ
આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને તાત્કાલિક પુરી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
જાણો કેવી રીતે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ?
આ ઘટના શ્રી ગુંડીચા મંદિરની સામે શારદાબલી પાસે બની હતી. તે સમયે ભગવાન જગન્નાથને રથ પર બેઠેલા જોવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. દર્શન દરમિયાન, ભીડને કાબૂમાં રાખવી મુશ્કેલ બની ગઈ અને લોકોએ ધક્કામુક્કી શરૂ કરી દીધી. કેટલાક લોકો જમીન પર પડી ગયા અને નાસભાગ મચી ગઈ હતી.
ત્રણેય મૃતકોની ઓળખ થઈ
આ સમય દરમિયાન 3 લોકો ભીડ નીચે દટાઈ ગયા અને ઘટના સ્થળે જ તેમના મોત થઇ ગયા. બધા મૃતકો ખુર્દા જિલ્લાના હતા. 2 મહિલાઓ પ્રભાતી દાસ અને બસંતી સાહુનું મોત થયું છે. 70 વર્ષીય પુરુષ પ્રેમકાંત મહંતીનું પણ મોત થયું છે.
ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં
ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોની ટીમ સતત તેમની સારવાર કરી રહી છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
જગન્નાથ રથયાત્રા સૌથી મોટા ધાર્મિક યાત્રાધામોમાંનું એક છે.
પુરીની જગન્નાથ રથયાત્રા દેશના સૌથી મોટા ધાર્મિક યાત્રાધામોમાંનું એક છે. દર વર્ષે લાખો ભક્તો ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કરવા માટે પુરી પહોંચે છે. રથયાત્રા દરમિયાન, ભગવાનને શ્રીમંદિરમાંથી શ્રી ગુંડીચા મંદિરમાં લઈ જવામાં આવે છે જ્યાં તેઓ થોડા દિવસો માટે આરામ કરે છે. આ યાત્રા દરમિયાન આ અકસ્માત થયો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/