નવી દિલ્હી: અનિલ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ વિરુદ્ધ તપાસનો ગાળિયો મજબૂત બની રહ્યો છે. CBIએ ₹2,220 કરોડના બેંક ફ્રોડ મામલે એક નવો કેસ નોંધ્યો છે. આ કાર્યવાહી બેંક ઓફ વડોદરાની ફરિયાદને આધારે કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યાં અનુસાર, રિલાયન્સ કોમ્યુનિકેશન્સએ વર્ષ 2013 થી 2017 દરમિયાન લીધેલી લોનનો દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે. FIR મુજબ, લોનની રકમનો ઉપયોગ નક્કી કરેલી શરતો મુજબ કરવાને બદલે બોગસ લેવડ-દેવડ અને સંલગ્ન કંપનીઓ દ્વારા અન્યત્ર વાળવામાં આવ્યો હતો.
CBIએ કેસ નોંધ્યાં બાદ અનિલ અંબાણીના નિવાસ સ્થાન અને RCOMની રજિસ્ટર્ડ ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં લોન ટ્રાન્ઝેક્શનને લગતા મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે. આ ખાતું 5 જૂન 2017થી NPA (નૉન-પર્ફોર્મિંગ એસેટ) જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ થવાને કારણે આ ખાતાઓને 'ફ્રોડ' જાહેર કરવા પર મનાઈ હુકમ હતો.
23 ફેબ્રુઆરી 2026ના રોજ આ સ્ટે હટાવી લેવામાં આવ્યો હતો, જેના પગલે બેંકે ઔપચારિક ફરિયાદ નોંધાવી અને CBIએ કાર્યવાહી શરૂ કરી હતી.તપાસમાં બહાર આવ્યું છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ ઈન્ફ્રાટેલ અને રિલાયન્સ ટેલિકોમ જેવી ગ્રુપ કંપનીઓને કુલ ₹31,580 કરોડની લોન મળી હતી.
આ લોનની રકમનો ઉપયોગ બીજી બેંકોના દેવા ચૂકવવા માટે થયો હતો. તેમજ રકમને ફિક્સ્ડ ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકીને તરત જ વટાવી લેવામાં આવી હતી અને અન્ય કંપનીઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યાનો આરોપ છે. ફોરેન્સિક ઓડિટમાં નાણાકીય સ્થિતિ સારી બતાવવા માટે ચોપડાઓમાં હેરાફેરી અને ભંડોળની ઉચાપતના સંકેતો મળ્યાં છે.
એક તરફ CBI નવા કેસની તપાસ કરી રહી છે, તો બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પણ અનિલ અંબાણીની સતત બીજા દિવસે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પૂછપરછ ₹40,000 કરોડના કથિત મની લોન્ડરિંગ કેસ અંતર્ગત PMLA હેઠળ કરવામાં આવી રહી છે. અગાઉ SBIની ફરિયાદ પર પણ CBIએ અલગ કેસ નોંધેલો છે, પરંતુ બેંક ઓફ બરોડા કન્સોર્ટિયમનો ભાગ ન હોવાથી આ એક સ્વતંત્ર નવો કેસ ગણાય છે.