Rajkot News: રાજકોટમાં રજૂઆત કરવા આવેલા ભાજપના જ નેતાને પાટીલથી રખાયા દૂર, બહારથી જ રવાના કરી દેવામાં આવ્યાં- Gujarat Post

02:04 PM Sep 07, 2024 | gujaratpost

C R Paatil News: કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યાં પછી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પ્રથમવાર રાજકોટ આવ્યાં હતા. આ દરમિયાન મનપામાં સફાઈ કામદારોની નિયમ વિરૂદ્ધ ભરતીમાં ભ્રષ્ટાચારની ફરિયાદો લઇને ટોળાં સાથે રજૂઆત માટે આવેલા ભાજપના જ કાર્યકરને મધ્યસ્થ કાર્યાલયની અંદર નહીં આવવા દઈને બહારથી રવાના કરી દેવામાં આવ્યાં હતા.

આ અંગે રાજકોટ સફાઈ કામદાર યુનિયનના પારસ બેડીયાએ જણાવ્યું કે તેઓ 18 વર્ષથી ભાજપના કાર્યકર છે, પરસોતમ રૂપાલાએ ફોર્મ ભરવાનું હતું ત્યારે તેમનો ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો. પરંતુ મેં બે હજાર લોકો સાથે તેમની સાથે હાજરી આપી હતી. અને આજે અમારા પક્ષના નેતા, મંત્રી આવતા હોય અને મનપા દ્વારા 532 સફાઈ કામદારોની ભરતીમાં જેમના દાદા,દાદી,માતા-પિતા મનપામાં નોકરી કરતા હોય તેમના સંતાનો જ અરજી કરી શકે તેવો અન્યાયી નિયમ બનાવાયો છે, જેની રજૂઆત કરવા માટે હું ગયો હતો પરંતુ મને અટકાવી દેવામાં આવ્યો હતો.

આ અંગેની કાર્યાલયમાં જાણ થતા જ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી બહાર દોડી આવ્યાં હતા અને ગુસ્સામાં બોલ્યાં હતા કે પ્રથમવાર મંત્રી બન્યાં પછી પાટીલ રાજકોટ આવતા હોવાથી આ સારૂ ન લાગે. આમા મજા નહીં આવે, આજે તો રજૂઆત નહીં જ કરવા દઇએ. અંદાજે એક હજારથી વધુ સફાઈ કામદારો તેમના પ્રશ્નોને લઈને પાટીલના આગમન સમયે આવી જતા હંગામો થયો હતો.

શુક્રવારે સાંજે રાજકોટ આવેલા સી.આર.પાટિલ ભાજપના કાર્યાલયે જઈને કાર્યકરોને સંબોધન કર્યુ હતું પરંતુ તેઓ મીડીયાથી દૂર રહ્યાં હતા.તેઓએ બિલ્ડરો સાથેના કાર્યક્રમમાં અને જળસંચયના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526