RCB એ નાસભાગમાં જીવ ગુમાવનારા 11 લોકોના પરિવારોને 10-10 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી
ધરપકડ કરવામાં આવેલા લોકોની પૂછપરછમાં આગામી દિવસોમાં વધુ ખુલાસ થઈ શકે છે
બેંગ્લોરઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલ વિજેતા બન્યાં બાદ બેંગ્લોરમાં વિકટરી પરેડ યોજવામાં આવી હતી. દરમિયાન મોટી ભીડ ઉમટી પડી હતી અને નાસભાગ મચી હતી. જેમાં 11 લોકોના મોત થયા હતા. આ કેસમાં આરસીબીના માર્કેટિંગ હેડ નિખિલ સોસલેની પોલીસે ધરપકડ કરી હતી. નાસભાગ મામલે પોલીસે આ પહેલી ધરપકડ કરી હતી. અન્ય 3 લોકોને પણ કસ્ટડીમાં લેવાયા છે. પોલીસે આ કેસમાં FIR નોંધ્યા બાદ આ કાર્યવાહી કરી છે.
માહિતી અનુસાર, નિખિલ સોસલે મુંબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એરપોર્ટ પહોંચતાની સાથે જ પોલીસે તેને પકડી લીધો. બેંગલુરુમાં RCB ની જીત પછી વિજય પરેડ પહેલા થયેલી નાસભાગ અને અરાજકતામાં તેની ભૂમિકા કેટલી ગંભીર હતી તે જાણવા માટે નિખિલની પૂછપરછ કરવામાં આવી રહી છે. નિખિલ ઉપરાંત, પોલીસે આ કેસમાં વધુ ત્રણ લોકોની અટકાયત કરી છે, તેમની પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલમાં, પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કાર્યક્રમનું આયોજન કરવામાં કયા નિયમોની અવગણના કરવામાં આવી હતી ? કોની પરવાનગીથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ? અને સલામતીના ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં ? આ માટે કોણ જવાબદાર છે ?
આ મામલે પહેલા સીએમ સિદ્ધારમૈયાએ પોલીસને નાસભાગ મામલે જવાબદાર ગણી હતી. જે બાદ પોલીસ કમિશ્નર સહિત અનેક ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.