ઇસ્લામાબાદ: પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ઘણીવાર તેમના નિવેદનોને કારણે સમાચારમાં રહે છે. આ વખતે તેમણે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર વિશે મોટું નિવેદન આપ્યું છે.
બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પાકિસ્તાનને ખબર નથી કે જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર ક્યાં છે. જો ભારત મસૂદ અઝહર પાકિસ્તાનમાં હોવાના નક્કર પુરાવા આપશે તો તેની ધરપકડ કરવામાં આવશે. બિલાવલ ભુટ્ટોએ અલ જઝીરાને આપેલા ઇન્ટરવ્યૂંમાં આ વાત કહી હતી.
અઝહર અફઘાનિસ્તાનમાં હોઈ શકે છે: બિલાવલ ભુટ્ટો
બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે ભારતે હજુ સુધી અઝહરના પાકિસ્તાનમાં હોવાના કોઈ પુરાવા આપ્યાં નથી. જો તે આવું કરશે તો અમે અઝહરની ધરપકડ કરીશું. અઝહર અફઘાનિસ્તાનમાં હોઈ શકે છે. જો નાટો તેને અફઘાનિસ્તાનમાં પકડી શકતું નથી, તો પાકિસ્તાન પાસેથી એવી અપેક્ષા રાખવી વ્યવહારુ નથી.
તાજેતરમાં ભારતની કાર્યવાહીમાં મસૂદ અઝહરના પરિવારના સભ્યો માર્યા ગયા હતા
પહેલગામમાં આતંકવાદી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જે અંતર્ગત પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને તોડી પાડવામાં આવ્યાં હતા. ભારતની આ કાર્યવાહીમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા હતા. મસૂદ અઝહર તરફથી તેના પરિવારના સભ્યોના મોત પર એક સંદેશ પણ બહાર આવ્યો હતો, જેમાં તેના પરિવારના સભ્યો પ્રત્યેનું તેનું દુ:ખ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું.
આતંકવાદી મસૂદ અઝહર કોણ છે ?
મસૂદ અઝહર એક કુખ્યાત આતંકવાદી છે અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) નો સ્થાપક અને નેતા છે. તેનું પૂરું નામ મૌલાના મસૂદ અઝહર અલ્વી છે અને તેનો જન્મ 10 જુલાઈ 1968 ના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુરમાં થયો હતો. તે 11 ભાઈ-બહેનોમાંનો એક છે અને તેના પિતા સરકારી શાળામાં મુખ્ય શિક્ષક હતા.
મસૂદે કરાચીના જામિયા ઉલૂમ અલ-ઇસ્લામિયામાં અભ્યાસ કર્યો હતો અને બાદમાં તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો હતો.મસૂદ અઝહર ભારતમાં ઘણા મોટા આતંકવાદી હુમલાઓનો માસ્ટર માઇન્ડ રહ્યો છે. 2019 ના પુલવામા આતંકવાદી હુમલામાં પણ તેનો હાથ હોવાનું કહેવાય છે, જેમાં 40 CRPF જવાનો શહીદ થયા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/