શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં 2019 પછીનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં 7 લોકોનાં મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી TRFએ લીધી છે. TRF એ લશ્કર-એ-તૈયબાનું માસ્ક છે. તેના આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય છે. હુમલા બાદ તમામ આતંકીઓની શોધખોળ થઇ રહી છે. આ હુમલાનો માસ્ટરમાઈન્ડ શેખ સજ્જાદ ફરાર છે, જે પાકિસ્તાનમાં છુપાયેલો છે. NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) એ 2019માં જ તેના પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. તેની સાથે અન્ય ત્રણ આતંકવાદીઓ પણ છે, જેની મદદથી શેખ સજ્જાદ આખું નેટવર્ક ચલાવી રહ્યો છે.
2019 પછી આ સૌથી મોટી ટાર્ગેટ કિલિંગ છે. શેખ સજ્જાદના સહયોગીઓ પાકિસ્તાની આતંકવાદીઓ અને સ્થાનિક છોકરાઓની મદદથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યાં છે. આ આતંકવાદીઓને પાકિસ્તાની સેના અને આઈએસઆઈનું સમર્થન છે.
ગૃહ મંત્રાલયે શેખ સજ્જાદને આતંકવાદી જાહેર કર્યો
જાન્યુઆરી 2023માં ભારત સરકારના ગૃહ મંત્રાલયે શેખ સજ્જાદને આતંકવાદી જાહેર કર્યો હતો. શેખ સજ્જાદ એચએમટી કોલોની, બેમિના, શ્રીનગરમાં અન્સારી લેનમાં રહેતો હતો. તેના સાથીદારો નવાબ શાહ (સિંધ, પાકિસ્તાન), સૈફુલ્લા સાજીદ (કાસુર, પાકિસ્તાન) અને બાસિત અહેમદ (રેદવાની પેઈન, કુલગામ) છે. NIAએ ગાંદરબલ હુમલાની તપાસ શરૂ કરી છે.
ગાંદરબલમાં 7 લોકોનાં મોત, 5 ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બની કે તરત જ મોટો આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ સીએમ ઓમર અબ્દુલ્લાના મતવિસ્તાર ગાંદરબલને નિશાન બનાવ્યું છે. ગાંદરબલના ગગનગીર વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં ડૉક્ટર સહિત 7 લોકોનાં મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. આતંકી સંગઠન TRFએ આ હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠન લશ્કર-એ-તૈયબનું માસ્ક છે અને કાશ્મીરમાં સતત આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યું છે. NIAએ આ આતંકી હુમલાની તપાસ શરૂ કરી છે. NIAની ટીમ ગાંદરબલ પહોંચી ગઈ છે અને સ્થળ પરથી પુરાવા એકત્ર કરી રહી છે.
કેવી રીતે કરાયો સમગ્ર હુમલો ?
ગાંદરબલમાં આ આતંકી હુમલો સોનમર્ગ વિસ્તારના ગગનગીરમાં થયો હતો. તમામ કામદારો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા ઝેડ મોડ ટનલ નિર્માણ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યાં હતા. આ ટનલ મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાની ગગનગીર ખીણને સોનમર્ગ સાથે જોડે છે. રાત્રે લગભગ 8.30 વાગ્યે કામ કર્યા પછી કામદારો જમવા માટે મેસ પર પહોંચ્યાં હતા. દરમિયાન આતંકીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ફાયરિંગમાં બે વાહનો પણ બળીને રાખ થઈ ગયા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/