રાજસ્થાનઃ જયપુર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના એક અધિકારી પાસેથી 9.35 લાખ રૂપિયા મળી આવ્યાં છે. ACB ની ખાસ ટીમે પોતાના જ વિભાગના એક અધિકારી સામે કાર્યવાહી કરી અને રોકડ જપ્ત કરીને આરોપી અધિકારીની પૂછપરછ કરી છે. આ ઘટનાથી ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોની પ્રતિષ્ઠાને કલંક લાગ્યું છે, જે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરતી એજન્સી છે. તે જ એજન્સીના અધિકારીની કારમાંથી મોટી રકમ મળી છે. શુક્રવારે એસીબી હેડક્વાર્ટરની સૂચના પર સ્પેશિયલ યુનિટ II ની ટીમે એસીબીના એડિશનલ એસપી જગારામ મીણાની કારની તલાશી લીધી હતી, જેમાં 9 લાખ 35 હજાર રૂપિયા રોકડા મળી આવ્યાં હતા.
ગુપ્ત માહિતીને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી
જયપુર નજીક શિવદાસપુરા ટોલ પ્લાઝા પર આ કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે જગારામ મીણા ઝાલાવાડથી જયપુર પરત ફરી રહ્યાં હતા. સૂત્રોના જણાવ્યાં અનુસાર, એસીબીની એક ખાસ ટીમ દ્વારા મીણાની કારની તલાશી લેવામાં આવી હતી, જેનું નેતૃત્વ એસીબીના એડિશનલ એસપી પુષ્પેન્દ્ર સિંહ રાઠોડ કરી રહ્યાં હતા. ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે વાહનમાં ગેરકાયદેસર રોકડ હોઈ શકે છે, જેને આધારે આ તપાસ હાથ ધરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન, મીણાની હાજરીમાં કારની તલાશી લેવામાં આવી હતી અને રોકડ મળી આવ્યાં બાદ ચલણી નોટોની ગણતરી કરીને જપ્ત કરવામાં આવી હતી. હાલમાં, રોકડના સ્ત્રોત વિશે તપાસ કરવામાં આવી રહી છે. એડિશનલ એસપી રાઠોડે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ ની નીતિ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ, ભલે તે ગમે તે હોદ્દા પર હોય, શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આરોપી અધિકારી નિવેદન આપવાનું ટાળી રહ્યાં છે
ACB મુખ્યાલય સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે. જગારામ મીણા હાલમાં નિવેદન આપવાનું ટાળી રહ્યાં છે. ટૂંક સમયમાં તેની ફરીથી પૂછપરછ પણ કરવામાં આવશે.
જગારામ મીણા સામે કડક કાર્યવાહી જરૂરી
આ કાર્યવાહીથી ફરી એકવાર પ્રશ્ન ઉભો થયો છે કે જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના અધિકારીઓ શંકાના દાયરામાં હશે, તો સામાન્ય લોકોને ન્યાય કેવી રીતે મળશે ? આ ઘટના માત્ર ACBની કાર્યશૈલી પર પ્રશ્નાર્થ ચિહ્ન જ નથી મૂકતી, પરંતુ સરકારની ભ્રષ્ટાચાર વિરોધી નીતિની અસરકારકતા પર ગંભીર સવાલો ઉભા કરે છે. હાલમાં આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/