અમદાવાદઃ સાબરમતી જેલમાં ISKP (ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત) સાથે સંકળાયેલા આતંકવાદી ડૉ. અહેમદ, જેને રિસિન ઝેર આપીને લોકોને મારવાનું કાવતરું ઘડવા બદલ જેલમાં રાખવામાં આવ્યો હતો, તેના પર જેલમાં હુમલો કરવામાં આવ્યો છે. ઉચ્ચ સુરક્ષા સેલમાં બંધ અન્ય કેદીઓ દ્વારા તેના પર અચાનક હુમલો કરવામાં આવ્યો અને તેને સખત માર મારવામાં આવ્યો હતો.
પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે ઘટના સ્થળે હાજર પોલીસ અધિકારીઓએ દરમિયાનગીરી કરી અને તેનો જીવ બચાવ્યો હતો. હુમલાની માહિતી મળતાં જ સેલની બહાર તૈનાત સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક અંદર દોડી ગયા અને ડૉ. અહેમદને કેદીઓના ચુંગાલમાંથી છોડાવ્યો હતો.
ઘટનાની માહિતી મળતાં, ગુજરાત ATS ટીમ સાબરમતી જેલ પહોંચી ગઈ હતી અને હુમલાના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. કેદીઓએ અચાનક હુમલો કેમ કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
8 નવેમ્બરના રોજ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી
8 નવેમ્બરના રોજ ગુજરાત ATS એ ડૉ. અહેમદ અને અન્ય બે ISKP આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આતંકીઓએ દેશમાં ઝેરી પદાર્થનો ઉપયોગ કરીને મોટા પાયે લોકોને મારવાની યોજના બનાવી હતી. જેલ વહીવટીતંત્ર અને ATS સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.
રિસિન શું છે ?
રિસિન એ એરંડાના છોડ (રિકિનસ કોમ્યુનિસ) ના બીજમાં જોવા મળતું એક અત્યંત ઝેરી કુદરતી પ્રોટીન છે. આ એ જ છોડ છે જેનું તેલ દવાઓ, સાબુ, મશીનરી અને ઘણી ઘરગથ્થું વસ્તુઓમાં વપરાય છે. પરંતુ આ છોડના બીજમાં રહેલું રિસિન એટલું ઘાતક છે કે તેને જૈવિક હથિયાર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા જેવા મોટા દેશો પણ એક સમયે તેનો ઉપયોગ હથિયાર તરીકે કરવાનું વિચારતા હતા.
રિસિન સામાન્ય રીતે સફેદ, બારીક, ગંધહીન, સ્વાદહીન પાવડર હોય છે. તેને ગળી જવાથી, શ્વાસમાં લેવાથી અથવા ઇન્જેક્શન આપવાથી ઘાતક પરિણામો આવી શકે છે. તે ચેપી નથી એટલે કે તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. પરંતુ જો તે હવા દ્વારા અથવા પાણીમાં ભળી જાય, તો તે વ્યાપક વિનાશનું કારણ બની શકે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/