કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પક્ષપલટુઓ હવે પક્ષ માટે બની રહ્યાં છે માથાનો દુખાવો- Gujarat Post

10:29 AM Sep 23, 2024 | gujaratpost

(ફાઈલ તસવીર)

Latest Political News: ગુજરાતમાં ચૂંટણી સમયે પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલે છે. ચૂંટણીમાં પોતાનો સ્વાર્થ પૂરો ન થતાં કેટલાક નેતાઓ નારાજ થઈ જાય છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા લાગે છે. ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને ‘નંદો’ કહીને હાંસી ઉડાવનારા જવાહર ચાવડા ભાજપમાં સામેલ થયા હતા. જોકે થોડા સમયથી પક્ષમાં તેમની અવગણના થઈ રહી હોવાથી નારાજ થયા છે અને લેટર બોમ્બ દ્વારા પક્ષની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી રહ્યાં હોવાનું ભાજપના લોકોનું કહેવું છે.

લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટો કરીને ભાજપની સીટ પરથી પેટા ચૂંટણી લડીને વિજેતા બનેલા અરવિંદ લાડાણીએ પણ હવે જવાહર ચાવડા સામે મોરચો માંડ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, માણાવદર માર્કેટ યાર્ડ પર જવાહર ચાવડાનું આધિપત્ય હતું ત્યારે માટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તેમણે સહકાર મંત્રી જગદીશ પંચાલને પત્ર લખીને જણાવ્યું છે કે, માણાવદર માર્કેટ યાર્ડમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. માર્કેટ યાર્ડના બિલ્ડીંગ માટે બેંક પાસેથી રૂ.1.5 કરોડની લોન લેવામાં આવી હતી. હવે બેંકમાં 4.5 કરોડ રૂપિયા ભરવાના બાકી છે. એક વર્ષ થવા છતાં યાર્ડના કર્મચારીઓનો પગાર થઈ શક્યો નથી.

લાડાણીની લેટર બોમ્બ બાદ જવાહર ચાવડાની મુશ્કેલી વધી શકે છે. ભાજપમાં થતાં ગણગણાટ મુજબ પક્ષ પલટો કરીને આવેલા નેતાઓ મંત્રી બન્યાં બાદ કે તેમની અવગણના થવાથી નારાજ છે અને કોંગ્રેસમાં જે રીતે બળવો કરતા હતા. તેવી જ રીતે ભાજપને પણ ભીંસમાં લેવા દાવપેચ રમી રહ્યાં છે. જો કે તેનાથી શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીને જ નુકસાન થઈ રહ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526