DGCAએ રિફંડના નિયમોમાં કર્યો ફેરફાર, હવે ટિકિટ કેન્સલેશન અને સુધારો થશે વધુ સરળ

10:19 AM Feb 27, 2026 | gujaratpost

નવી દિલ્હી: ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનએ રિફંડના નિયમોમાં મોટો ફેરફાર કરીને હવાઈ મુસાફરોને મોટી સુવિધા આપી છે. હવે મુસાફરો બુકિંગના 48 કલાકની અંદર કોઈ પણ વધારાના ચાર્જ વગર તેમની ટિકિટ કેન્સલ કરી શકે છે અથવા તેમાં ફેરફાર કરી શકે છે. જોકે, આ માટે કેટલીક શરતોનું પાલન કરવું અનિવાર્ય રહેશે.

સિવિલ એવિએશનના સુધારેલા નિયમો અનુસાર, જો મુસાફરના નામમાં કોઈ ભૂલ થઈ હોય અને બુકિંગના 24 કલાકની અંદર તેની જાણ કરવામાં આવે, તો એરલાઇન્સ કોઈ વધારાનો ચાર્જ વસૂલી શકશે નહીં. આ સુવિધા ત્યારે જ મળશે જો ટિકિટ સીધી એરલાઇનની વેબસાઇટ પરથી ખરીદવામાં આવી હોય.

DGCA એ સ્પષ્ટ કર્યું છે કે,  જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ અથવા પોર્ટલ પરથી ખરીદવામાં આવી હોય, તો પણ રિફંડની જવાબદારી એરલાઇન્સની રહેશે, કારણ કે એજન્ટ તેમના નિયુક્ત પ્રતિનિધિ છે.  એરલાઇન્સે રિફંડની પ્રક્રિયા 14 કામકાજના દિવસોની અંદર પૂર્ણ થઈ જાય તે સુનિશ્ચિત કરવું પડશે.

24 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવેલ સુધારેલા CAR મુજબ, મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં ટિકિટ કેન્સલ કરવાના નિયમોમાં પણ રાહત આપવામાં આવી છે. ડિસેમ્બર 2025 માં ઈન્ડિગો ફ્લાઈટ્સમાં સર્જાયેલી વિક્ષેપ બાદ રિફંડમાં થતા વિલંબ અંગેની ફરિયાદો વધી હતી, જેના પગલે મંત્રાલયે આ કડક વલણ અપનાવ્યું છે.

નવા ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય રિફંડ પ્રક્રિયાને મુસાફરો માટે વધુ સરળ બનાવવાનો અને એરલાઇન્સની જવાબદારી નક્કી કરવાનો છે.