અમદાવાદઃ બોટાદનાં ભીમનાથ ગામે પાટીદાર અગ્રણી ધરમશી મોરડિયાની હત્યા થતા ચકચાર મચી છે. ધંધૂકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી ધરમશી પટેલની ગામના જ કલ્પેશ મેર (ઉં.32 વર્ષ) નામના શખસે જીવલેણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી. તાત્કાલિક પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. અમદાવાદમાંથી તેમની અંતિમ યાત્રા નીકળશે. ગઈકાલે તેમની હત્યાની જાણ થતાં જ સાંસદ પરસોત્તમ રૂપાલા સહિત ભાજપના અનેક નેતાઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા.
પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં અનુસાર, ધરમશી પટેલ ભીમનાથ ગામે પોતાના ઘરની બહાર ઊભા હતા. દરમિયાન ઘરની નજીકમાં જ રહેતા કલ્પેશ સવજીભાઈ મેર નામનો યુવક ત્યાં પહોંચ્યો હતો અને ધરમશી પટેલ સાથે બોલાચાલી કરી હતી. તમે નોકરીનું શું કર્યું, તમે નોકરી ના અપાવી જેના કારણે મારા ત્રણ વર્ષ બગડ્યાં છે, તેવું કહીને ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ દોડીને તે ઘરે ગયો અને ત્યાંથી દાંતી-લોખંડનો પાઈપ લઈને આવ્યો હતો આરોપીએ અચાનક હુમલો કરી દેતા ધરમશી પટેલના માથા-ગળામાં ઈજા થઈ હતી, તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. હાજર લોકોએ આરોપી કલ્પેશના હાથમાંથી તીક્ષ્ણ હથિયાર આંચકી લીધું હતું. આરોપી હુમલો કરીને ફરાર થઈ ગયો હતો અને ધરમશી પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બોટાદ એસપીએ ઘટના અંગે જણાવ્યું કે, હત્યા અંગે તપાસ ચાલુ છે. આરોપી કલ્પેશ મેરને પોલીસે દબોચી લીધો હતો.તપાસ દરમિયાન સામે આવ્યું કે બનાવ બાદ આરોપીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને તે હાલ સારવાર હેઠળ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++