Business News: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ ત્રણ દિવસની બેઠક બાદ રેપો રેટને વર્તમાન 6.5%ના દરે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે મોનેટરી પોલિસી કમિટીએ 6, 7 અને 8 ઓગસ્ટના રોજ યોજાયેલી તેની બેઠકમાં 4:2ની બહુમતી સાથે પોલિસી વ્યાજદરો એટલે કે રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. ફેબ્રુઆરી 2023થી રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. MPCએ સતત નવમી બેઠકમાં રેપો રેટને 6.5% પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. MPCના નિર્ણયોની જાહેરાત બાદ હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે સામાન્ય માણસને હાલમાં લોન EMI પર કોઈ રાહત મળવાની નથી.
MPCના નિર્ણયો વિશે માહિતી આપતા RBI ગવર્નરે કહ્યું કે વૈશ્વિક સ્તરે અસ્થિરતા દેખાઈ રહી છે. જો કે વિશ્વભરમાં ફુગાવો ઘટી રહ્યો છે. સેન્ટ્રલ બેંકો અર્થતંત્રની સ્થિતિના આધારે વ્યાજ દરો અંગે નિર્ણયો લે છે. સ્થાનિક અર્થતંત્ર મજબૂત રહે છે. સેવા ક્ષેત્રની કામગીરીમાં નોંધપાત્ર સુધારો થયો છે. સેવા ક્ષેત્ર અને બાંધકામ ક્ષેત્ર સતત મજબૂત થઈ રહ્યું છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે નાંણાકીય વર્ષ 2024-25માં જીડીપી 7.2 ટકા રહેવાની ધારણા છે.
જૂનમાં યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની છેલ્લી બેઠકમાં, MPCના છમાંથી ચાર સભ્યોએ રેપો રેટને યથાવત રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું. જયંત વર્મા અને આશિમા ગોયલે પોલિસી રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટના ઘટાડા અને વલણમાં ફેરફાર માટે મત આપ્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526