અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, વડોદરામાં રોડ શો બાદ સાંજે તેઓ અમદાવાદ પધારશે. અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી પીએમ મોદીનો રોડ શો યોજાશે, રોડ-શોમાં કાળા વસ્ત્રો પહેરનારાંને એન્ટ્રી નહી મળે. પોલીસને સંપૂર્ણ કાળા વસ્ત્રો સાથે કોઇપણ વ્યક્તિ રોડ-શોમાં આવે નહીં તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ક્યુઆર કોડ વિના વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળે પ્રવેશ અપાશે નહીં. સરકાર વિરુધ્ધ દેખાવ થવાની ભીતિને પગલે પોલીસે ખાસ દેખરેખ રાખી છે.
અમદાવાદમાં એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શોનું આયોજન કરાયુ છે તે જ પ્રમાણે ગાંધીનગરમાં પણ રોડ શોનું આયોજન કરાયું છે, જેમાં 50,000 લોકો એકત્ર થાય તેમ છે તે જોતાં પાણી-ફુડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં લોકોને પાર્કિંગથી બ્લોક સુધી લઇ જવા અધિકારીઓને જવાબદારી સોંપાઇ છે. પરંપરાગત નૃત્ય સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ માટે માર્ગો પર ઠેર ઠેર સ્ટેજ બનાવાયાં છે, વડાપ્રધાનની ગુજરાત મુલાકાત વખતે સરકાર-પોલીસને વડોદરામાં જેમ સીએમ ભૂપેન્દ્ર પટેલનો જાહેરમાં વિરોધ થયો હતો તેવો વિરોધ થવાનો ડર છે, જેથી સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. મોદી 27મી મેએ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી રૂા.5539 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમ વખત અમદાવાદ આવી રહ્યા હોવાથી તેમને આવકારવા કાર્યકર્તાઓ, નેતાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.