દેહરાદૂનઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે રાજ્યના 15 સ્થળોના નામ બદલવાની જાહેરાત કરી હતી. સ્થાનિક લોકોની લાગણીઓ અને સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સરકારે જણાવ્યું હતું. ભાજપ સરકાર મુજબ લોકો ભારતીય સંસ્કૃતિ અને તેના સંરક્ષણમાં યોગદાન આપનારા મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈ શકે તે માટે આ પગલું ભરવામાં આવ્યું હતું.
હરિદ્વારમાં ભગવાનપુર બ્લોકના ઔરંગઝેબપુરનું નામ બદલીને શિવાજી નગર, બહાદરાબાદ બ્લોકના ગાઝીવાળીનું નામ બદલીને આર્ય નગર, ચાંદપુરનું નામ બદલીને જ્યોતિબા ફૂલે નગર, નરસાન બ્લોકના મોહમ્મદપુર જાટનું નામ બદલીને મોહનપુર જાટ, ખાનપુર કુરસાલીનું નામ બદલીને આંબેડપુર બ્લોક, ખાનપુરનું નામ બદલીને આંબેડપુર બ્લોક કરવામાં આવ્યું હતું. નંદપુર, ખાનપુરનું નામ બદલીને કૃષ્ણપુર અને અકબરપુર ફાજલપુરનું નામ બદલીને વિજયનગર કરવામાં આવ્યું હતું.
દેહરાદૂન મ્યુનિસિપલ કોર્પોરેશનના મિયાંવાલાનું નામ બદલીને રામજીવાલા, વિકાસનગર બ્લોકના પીરવાલાને કેસરી નગર, ચાંદપુર ખુર્દનું નામ બદલીને પૃથ્વીરાજ નગર, સહસપુર બ્લોકના અબ્દુલ્લાપુરનું નામ બદલીને દક્ષાનગર કરવામાં આવ્યું હતું.
નૈનિતાલમાં નવાબી રોડનું નામ બદલીને અટલ માર્ગ રાખવામાં આવ્યું હતું. પંચક્કીથી ITI સુધીના રસ્તાને ગુરુ ગોવલકર માર્ગ નામ આપવામાં આવ્યું હતું.
ઉધમ સિંહ નગરમાં નગર પંચાયત સુલતાનપુર પટ્ટીનું નામ બદલીને કૌશલ્યા પુરી કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપ સરકારના આ પગલા પછી કોંગ્રેસ સહિતના વિપક્ષો કટાક્ષ કરી રહ્યાં છે અને આ મામલે રાજનીતિ તેજ બની છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/