(file photo)
ગાંધીનગરઃ અમદાવાદમાં ગત વર્ષે સર્જાયેલી વિમાન દુર્ઘટનાને એક વર્ષ થવા આવ્યું છે. જેમાં વિમાન સવાર તમામ મુસાફરોમાંથી માત્ર એક જ મુસાફર જીવિત બચ્યો હતો. દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થઇ ગયા હતા. દરમિયાન ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં AI 171 ક્રેશની તપાસ અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, આ ઘટનાને લગભગ એક વર્ષ વીતી ગયું છે અને તપાસ હજુ પણ ખૂબ જ ઝીણવટપૂર્વક ચાલી રહી છે. આપણે એક વાત સમજવાની જરૂર છે કે જ્યારે પણ આવી તપાસ થાય છે, ખાસ કરીને જેમાં વિદેશી નાગરિકો સવાર હોય તેવી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સંકળાયેલી હોય, ત્યારે અંતિમ રિપોર્ટ પર કોઈ પણ સંબંધિત દેશ કે સંસ્થા દ્વારા પ્રશ્નો ઉઠાવી શકાય છે અને તેની ચકાસણી થઈ શકે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, તપાસ અત્યંત ગંભીરતા, નિષ્પક્ષતા અને પારદર્શિતા સાથે થવી જોઈએ, અને અત્યારે બરાબર એ જ પ્રક્રિયા અનુસરવામાં આવી રહી છે. અમારી તરફથી અમે તેને શક્ય એટલી વહેલી તકે પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ, પરંતુ અમે ઝડપી રિપોર્ટ માટે પ્રક્રિયામાં કોઈ બાંધછોડ કે દખલગીરી કરી શકીએ નહીં.
VIDEO | Gandhinagar, Gujarat: On AI 171 Crash probe, Union Civil Aviation Minister K Ram Mohan Naidu says, "It has been almost a year, and the investigation is still being carried out very thoroughly. We need to understand one thing , whenever such an investigation takes place,… pic.twitter.com/JqkpvgKBGz
— Press Trust of India (@PTI_News) May 8, 2026
મંત્રીએ વિગતો આપતા જણાવ્યું કે, અમને મળેલી માહિતી મુજબ, તપાસ તેના અંતિમ તબક્કામાં છે. જો કે, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો સ્વતંત્ર રીતે તપાસ કરી રહ્યું છે, અમે તેમને જરૂરી તમામ સંસાધનો પૂરા પાડ્યાં છે. અમને અપેક્ષા છે કે આ પ્રક્રિયામાં હજુ એક મહિના જેવો સમય લાગી શકે છે.