સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યાં બાદ જ મૃતદેહ લેવા આવવા સુપ્રિટેન્ડેન્ટની સૂચના
અમદાવાદઃ ગુરુવારે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં પ્લેનમાં સવાર 241 લોકો અને બી જે મેડિકલ કોલેજ કેમ્પસમાં મળીને કુલ 270થી વધુ લોકોના મૃત્યું થયા હતા. હાલ મૃતદેહોના ડીએનએ મેચ કરવાની કામગીરી શરૂ છે. 31 મૃતદેહોના સેમ્પલ મેચ થતાં તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાની પણ શરૂઆત કરવામાં આવી છે.
આ અંગે સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે જણાવ્યું કે, શનિવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં ત્રણ પરિવારોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યાં હતા. જ્યારે આજે સવારે 9 વાગ્યા સુધીમાં અન્ય 9 મૃતદેહ મળી કુલ 12 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યાં છે.
રાજ્ય સરકારે નશ્વર અવશેષોની સગા-સંબંધીઓને સોંપવા માટે ડૉક્ટર્સ, સહાયકો, ડ્રાઈવરોની 591 ટીમ મેમ્બર્સ સહિત 192 એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. અવશેષો લઈ જવા માટે એમ્બ્યુલન્સ અને પોલીસ પાયલોટ સેવા પ્રદાન કરવામાં આવશે. સંબંધિત જિલ્લાઓમાં નશ્વર અવશેષોને સંબંધિત જિલ્લાઓમાં પહોંચાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 230 ટીમની રચના કરવામાં આવી છે.