ગુજરાતના ખેડૂતો માટે કૃષિમંત્રીએ કરી જાહેરાત, સરકારે રૂ. 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું

04:14 PM Aug 23, 2024 | gujaratpost

ગાંધીનગરઃ ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ-2024 માં વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકારે રૂ. 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.

કૃષિ મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે. રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદાના સમયે સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે. ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકસાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કૂલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ થતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં ખેતીને નુકસાન થયું હતુ, આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરીને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.

અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ અપ સહાય પણ અપાશે.

રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો

ખરીફ 2024-25 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ.8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. 2,500 સહાય મળીને કુલ રૂ. 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
 
વર્ષાયુ અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. 5,000 સહાય મળી કુલ રૂ. 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
 
બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે તેથી વધુ  નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
 
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 2 જુલાઇ 2024ના રોજ વંટોળ સાથે વરસેલા ભારે વરસાદને કારણે ચીકુ અને આંબા જેવા બાગાયતી પાકોના ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવી, તેમજ કેળ પાક પડી જવાથી વ્યાપક નુકસાન થવાના અહેવાલો પણ મળ્યાં છે. આવા અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવી છે.

ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. 3,500 કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. 3,500 ચૂકવવામાં આવશે. જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે.
 
ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયતનમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526