રાજુલા-જાફરાબાદમાં કમોસમી વરસાદ, 36 કલાકમાં 10 ઇંચથી વધુ પાણી વરસ્યું
વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડયું
અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં (શિયાળાની શરૂઆતમાં) પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતોના તૈયાર પાકને વરસાદથી નુકસાન થતાં તેમની મુશ્કેલી વધી છે, તેથી સરકારે પાંચ મંત્રીઓને વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા જણાવ્યું છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 239 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, અમરેલીના રાજુલામાં 8.50 ઇંચ, ભાવનગરના મહુવામાં 7.24 ઇંચ, સૂત્રાપાડામાં 6.85 ઇંચ, ઉનામાં 5.55 ઇંચ, ગલતેશ્વરમાં 5.55 ઇંચ, લીલીયામાં 5.39 ઇંચ, ગીરગઢડામાં 5.16 ઇંચ, પાટણ વેરાવળમાં 4.92 ઇંચ, સાવરકુંડલામાં 4.88 ઇંચ, કોડીનારમાં 4.84, ઇંચ, ખાંભામાં4.80 ઇંચ, વડોદરામાં 4.80 ઇંચ, તળાજામાં 4.65 ઇંચ, વલ્લભીપુરમાં 4.17 ઇંચ, બારડોલીમાં 4.17 ઇંચ, મેઘરજમાં 3.86 ઇંચ, ઉમરપાડામાં 3.74 ઇંચ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ, મોડી રાત્રે અમદાવાદ અને મહીસાગરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક વધતાં, ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નદી કિનારાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાવલ નદીનું પાણી કિનારાની બહાર આવશે તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. નોંધનિય છે કે માવઠાંને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++