અમરેલી: ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. રાજ્યમાં કોઈને કોઈ ખૂણામાં અકસ્માત થઇ રહ્યાં છે.આજે અમરેલી જિલ્લાનાં રાજુલા નજીક અકસ્માત સર્જાયો હતો. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણા રોડ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજુલા-જાફરાબાદ રૂટની ગુજરાત એસટી બસ, મારુતિ સ્વિફ્ટ કાર અને એક બાઇક વચ્ચે થયેલા આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા.
અકસ્માતની ઘટનામાં મૃતકોની ઓળખ તેમના મોબાઈલ ફોનમાંથી મેળવવામાં આવી હતી. મૃતકોમાં વડોદરા જિલ્લાનાં પાદરાનાં રહેવાસી દેવભાઈ મિતેશભાઈ સોની, જયભાઈ પટેલ અને સુમુખભાઈ ગીરીશભાઈ ઠક્કર હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ દીવ તરફથી આવી રહ્યાં હોવાની વિગતો છે.
આ અકસ્માતમાં બાઇકચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, રોંગ સાઈડથી આવતી સ્વિફ્ટ કાર અચાનક ઊછળીને એસટી બસની બાજુમાં આવી જતાં અકસ્માત થયો હતો.ઘટનાની જાણ થતાની સાથે જ રાજુલા પોલીસ અને એસટી ડેપોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં મારુતિ સ્વિફ્ટ કારનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.