ઓપરેશન સિંધુઃ ઈરાનથી 110 ભારતીય વિદ્યાર્થીઓ પરત ફર્યા, જણાવી આપવીતિ - Gujarat Post

09:24 AM Jun 19, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ ઈઝરાયલ-ઈરાન તણાવ વચ્ચે ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ગુરુવારે સવારે ભારત પરત ફર્યા હતા. ઓપરેશન સિંધુ હેઠળ કુલ 110 ભારતીય વિદ્યાર્થીઓનો કાફલો ભારત પહોંચ્યો હતો. વતન પરત ફરતા જ તમામ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ દરમિયાન વિદ્યાર્થીઓએ ઈરાનની કથળી રહેલી સ્થિતિ વિશે વાત કરી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ઈરાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. મિસાઈલોનો જોરદાર અવાજ તેમને ડરાવી દેતો હતો. યાસિર ગફ્ફાર નામના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, અમે રાત્રે મિસાઈલોને ઉપરથી પસાર થતી જોઈ અને જોરદાર વિસ્ફોટોના અવાજો સાંભળ્યા. ડરનો માહોલ હતો, પરંતુ હવે ભારત પહોંચીને રાહત મળી છે. તેમણે ઉમેર્યું કે, અમે અમારા સપના છોડ્યા નથી અને પરિસ્થિતિ સુધરતા જ ફરી ઈરાન પરત ફરીશું. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોએ સરકારની આ કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

એક અન્ય વિદ્યાર્થીએ કહ્યું કે, ઈરાનની સ્થિતિ ખરાબ છે અને લોકો ડરી ગયેલા છે. ભારત સરકારે અમને બહાર કાઢ્યા. અમને આટલી અપેક્ષા પણ નહોતી. તેમણે દરેક પગલે અમારી મદદ કરી, કોઈને કોઈ મુશ્કેલી ન થઈ. અમે કેન્દ્ર સરકારના આભારી છીએ. એક વિદ્યાર્થીએ કહ્યું કે, મને ખુશી છે કે હું મારા દેશ પાછો આવી ગયો છું. ઈરાનમાં પરિસ્થિતિ ખરાબ હતી. ભારત સરકારે ખૂબ મદદ કરી, જેના કારણે અમે ઘરે પાછા આવી શક્યા.

એક અન્ય વિદ્યાર્થીએ જણાવ્યું કે તે ઉર્મિયા યુનિવર્સિટીમાં MBBSના અંતિમ વર્ષનો વિદ્યાર્થી છે. તેણે કહ્યું, અમે ડ્રોન અને મિસાઈલો જોઈને ડરી ગયા હતા. અમે ભારત પાછા ફરીને ખુશ છીએ અને ભારત સરકાર, ખાસ કરીને વિદેશ મંત્રાલયના ખૂબ આભારી છીએ. અમારા માતા-પિતા પણ ચિંતિત હતા, પરંતુ હવે તેઓ ખુશ છે.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++