સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભાજપે ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી, પૂર્વ IPS મનોજ નીનામાને મળી ટિકિટ

08:12 PM Apr 09, 2026 | gujaratpost

ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે સુરેન્દ્રનગર, અરવલ્લી અને નવરચિત વાવ- થરાદ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરીને ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા: પ્રથમ ચૂંટણી અને નવા ચહેરા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યાં બાદ આ પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપે અહીં તમામ 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જાહેર થયેલા 52 ઉમેદવારોમાંથી માત્ર 10 ઉમેદવારો એવા છે જે અગાઉ નગરપાલિકામાં સભ્ય રહી ચૂક્યાં છે.

Trending :

પક્ષ દ્વારા શિસ્ત અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવા માટે કડક માપદંડો અપનાવાયા છે. જેઓ સતત ત્રણ ટર્મ ચૂંટણી લડ્યાં છે તેમની ટિકિટ કાપવામાં આવી છે. 60 વર્ષથી વધુ વય ધરાવતા કાર્યકરોને આ વખતે તક આપવામાં આવી નથી. 

આ નવા નિયમોને કારણે સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, પૂર્વ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન જેવા દિગ્ગજોના પત્તા કપાયા છે.

અરવલ્લી અને અન્ય જિલ્લાઓની જાહેરાત

ભાજપે અરવલ્લી જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. 

અરવલ્લી જિલ્લાની ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી પૂર્વ IPS અધિકારી મનોજ નીનામાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે, જે આ ચૂંટણીનું મુખ્ય આકર્ષણ બન્યું છે.

બનાસકાંઠા વિસ્તારમાં નવી બનેલી વાવ-થરાદ જિલ્લા પંચાયત તેમજ ભાભર અને થરાદ નગરપાલિકા માટે પણ ઉમેદવારોના નામની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ભાજપની આ યાદીમાં અનુભવ કરતા યુવા અને નવા ચહેરાઓ પર વધુ પસંદગી ઉતારવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.