આંતરજ્ઞાતિય સગાઈનો વિવાદ: આખરે કિંજલ દવેએ મૌન તોડતાં કહી આ વાત

09:45 PM Dec 15, 2025 | gujaratpost

અમદાવાદ: લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં એક બિઝનેસમેન સાથે સગાઈ કર્યા બાદ ઉભા થયેલા આંતરજ્ઞાતિય લગ્નના વિવાદ પર મૌન તોડ્યું છે. સગાઈ કરાયેલા બિઝનેસમેન બ્રહ્મ સમાજના ન હોવાના કારણે ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા કિંજલ દવે અને તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કાંકરેજના શિહોરી ખાતે સમાજની મળેલી બેઠકમાં પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે નારાજગી વ્યક્ત કરી હતી. સમાજે કિંજલ દવેના પિતા અને પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવાની જાહેરાત કરી હતી.

સમાજના આ આકરા નિર્ણય બાદ કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું,  જય માતાજી, હર મહાદેવ મિત્રો. મારા જીવનના એક નવા પડાવની શરૂઆતમાં પ્રેમ અને આશીર્વાદ આપનારા દરેકનો હું આભાર માનું છું. મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે, જેને કારણે હું અત્યાર સુધી મૌન હતી. પણ હવે વાત જ્યારે મારા પરિવાર અને ખાસ કરીને મારા પિતા સુધી પહોંચી છે, ત્યારે એક દીકરી તરીકે મારાથી સહન થતું નથી અને તેથી આજે મારે બોલવું પડ્યું છે.

ગાયિકાએ બ્રહ્મ કન્યા હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે તેમને અઢારેય વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે, જેમાં શિક્ષિત અને સમજદાર બ્રહ્મ શક્તિઓનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. કિંજલ દવેએ સમાજના આ નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો હતો. તેણે કહ્યું કે, જ્યારે દીકરીઓ તેજસ જેવા પ્લેન ઉડાડી રહી છે, સંસદમાં છે અને દેશને ગૌરવ અપાવી રહી છે, ત્યારે શું બે-ચાર અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે? શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો હક નથી?

તેમણે પોતાના નિર્ણયને વધાવતા કહ્યું કે, તેમને એવા પરિવાર અને પિતા મળ્યાં છે જે તેમની ખુશીમાં ખુશ થાય છે. તેમજ તેઓ જે પરિવારમાં જઈ રહ્યાં છે, ત્યાં રાત-દિવસ ગાયત્રી મંત્ર અને નવકાર મંત્રના જાપ થાય છે. કિંજલ દવેએ સમાજની કેટલીક જૂની પ્રથાઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક તરફ દીકરીઓ પ્લેન ઉડાવે છે અને આર્મીમાં છે, અને બીજી તરફ હજી પણ બાળ લગ્ન, સાટા પ્રથા જેવી સમસ્યાઓ ચાલુ છે, જેની પીડિત તે પોતે પણ છે. દીકરીઓના પૈસા લેવામાં આવે છે અને તેમને ઘૂંઘટમાં રાખવામાં આવે છે. આ બાબતો સમાજમાં ક્યાં કેટલો વિકાસ થયો છે, તે દર્શાવે છે.