અમદાવાદઃ ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે આજે 148 મી રથયાત્રા પરંપરાગત રૂટ પર ફરી રહી છે. સૌ પ્રથમ ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં બિરાજમાન કરવામાં આવ્યાં હતા. જે બાદમાં ભાઈ બલરામને તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરાયા છે. આજે રથયાત્રાના દિવસે ગુજરાત પોલીસ દ્વારા ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરીને પહિંદ વિધિ કરી હતી.
LIVE: અમદાવાદમાં 148મી રથયાત્રાના અવસરે પહિંદ વિધિ કરીને ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાને પ્રસ્થાન. https://t.co/U1fjzJamIh
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 27, 2025
આજની આ રથયાત્રામાં 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રાનુ આકર્ષણ બની છે. આ સાથે 3 બેન્ડવાજા અને મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ રથયાત્રામાં જોડાયા છે. જમાલપુર જગન્નાથ મંદિરથી શરૂ થયેલ રથયાત્રા જોવા માટે મોટી સંખ્યામાં લોકો જમાલપુર દરવાજા ખાતે પહોંચ્યાં છે. અહીં હાલ રથયાત્રા ધીમે ધીમે જમાલપુર દરવાજાથી આગળ વધી રહી છે. જય રણછોડના નાદ સાથે મંદિરથી ત્રણેય રથ નીકળ્યાં છે.
ગૃહમંત્રી અમિત શાહે રથયાત્રા નિમિત્તે લોકોને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, શ્રી જગન્નાથ રથયાત્રા સનાતન સંસ્કૃતિનો પવિત્ર ઉત્સવ છે, જેને દેશના દરેક ખૂણે ભક્તો દ્વારા ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. ગુજરાત પણ મહાપ્રભુના આ પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું છે. મહાપ્રભુ જગન્નાથજીને દરેકના સુખી અને સ્વસ્થ જીવન, સમૃદ્ધિ અને ઉન્નતિ માટે પ્રાર્થના કરું છું.
રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદ સ્થિત શ્રી જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં સહભાગી થવાનો અવસર એક દિવ્ય અને અલૌકિક અનુભવ હોય છે. આજે મહાપ્રભુની મંગળા આરતીમાં સહભાગી થઈને દર્શન અને પૂજા અર્ચના કર્યા. ભગવાન જગન્નાથજી સૌના પર આશીર્વાદ વરસાવતા રહે. pic.twitter.com/IORAnNzXbN
— Amit Shah (@AmitShah) June 27, 2025
ભગવાનના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથને ખીચડી અને ગવાર કોળાના શાકનો ભોગ ધરાવાયો છે. ભગવાનને ભોગ ધર્યા બાદ નગરજનોને પ્રસાદમાં ખીચડી અપાશે. 2000 કિલો ચોખા, 1500 કિલો તુવેરની દાળ, 3000 કિલો સુકોમેવો અને 80 ડબ્બા શુદ્ધ ઘી નો ઉપયોગ કરી ખીચડી બનાવવામાં આવે છે.
જમાલપુર જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજને આજે અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે તમામ સાધુ-સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગદગુરુની પદવી આપવામાં આવી છે. મહંત દિલીપદાસજી હવે મહામંડલેશ્વરની જગ્યાએ જગતગુરુ દિલીપદાસજી મહારાજ તરીકે ઓળખાશે.
રથયાત્રામાં શહેર પોલીસ સાથે મળીને અમદાવાદ ફાયર વિભાગ પણ ક્રાઉડ મેનેજમેન્ટ કરશે. AI ટેક્નોલોજી માં અમદાવાદ પોલીસે ફાયર વિભાગની મદદ લીધી. 13 જગ્યાએ ફાયર ની સેપ્શિયલ ટીમ ડિપ્લોઈ કરવામાં આવી છે. એક ટીમ સતત રથની સાથે રહશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવી રાખી છે અને આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન માટે પ્રસાદ મોકલ્યો છે. PM મોદી દ્વારા ડ્રાયફ્રૂટ, ફ્રૂટ, મગ અને ચોકલેટ સહિતનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે. ગઇકાલે બપોરના સમયે પરિંદુ ભગત આ પ્રસાદ લઈને જગન્નાથ મંદિરમાં આવ્યા હતા. મહત્વનું છે કે, આવતીકાલની રથયાત્રાને લઈ તમામ તૈયારીઑ પૂર્ણ થઈ ચૂકી છે.
રથયાત્રાનો રૂટ
સવારે 7:30 વાગ્યે: જમાલપુર મંદિર
સવારે 9:00 વાગ્યે: મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
સવારે 9:45 વાગ્યેઃ રાયપુર ચકલા
સવારે 10:30 વાગ્યે: ખાડિયા ચાર રસ્તા
સવારે 11:15 વાગ્યે: કાલુપુર સર્કલ
સવારે 12:00 વાગ્યે: સરસપુર (મામાનું ઘર)
બપોરે 1:30 વાગ્યેઃ સરસપુરથી પરત પ્રસ્થાન
બપોરે 2:00 વાગ્યે: કાલુપુર સર્કલ
બપોરે 2:30 વાગ્યે: પ્રેમ દરવાજા
બપોરે 3:15 વાગ્યે: દિલ્હી ચકલા
બપોરે 3:45 વાગ્યે: શાહપુર દરવાજા
સાંજે 4:30 વાગ્યેઃ શાહપુર હાઈસ્કુલ
સાંજે 5:00 વાગ્યે: ઘી કાંટા
સાંજે 5:45 વાગ્યે: પાનકોર નાકા
સાંજે 6:30 વાગ્યે: માણેકચોક
રાત્રે 8:30 વાગ્યે: નિજ મંદિર પરત
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/