સિયા કેસઃ અકસ્માત નહીં પણ પ્રિ-પ્લાન્ડ મર્ડર; જાન્યુઆરીની ઉદયપુર ટ્રીપમાં જ ઘડાયું હતું કેતનની હત્યાનું કાવતરું?

05:21 PM Jun 27, 2026 | gujaratpost

  • ફોન ચેટ્સ ડિલીટ કરાતા ફોરેન્સિક તપાસ શરૂ થઈ
  • કિલ્લા પરથી ધક્કો મારવા સિયાએ બેસીને આપ્યું હતું સિગ્નલ

પુણે: મહારાષ્ટ્રના પુણેમાં થયેલા રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ કેતન અગ્રવાલ હત્યા કેસમાં રોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી સિયા ગોયલે કબૂલાત કરી છે કે તે કેતન સાથે લગ્ન કરવા માંગતી ન હતી. પરંતુ જો આ ગોઠવાયેલા લગ્ન તૂટી જાય તો સમાજમાં બદનામી થવાનો ડર હતો. સામાજિક કલંકથી બચવા માટે સિયા અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ કેતનને રસ્તામાંથી હટાવવાનું ભયાનક કાવતરું ઘડી નાખ્યું. સિયાનું માનવું હતું કે જો કેતનની હત્યા થઈ જાય, તો તેને લગ્ન વિશે વિચારવા માટે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો સમય મળી જશે.

તપાસમાં સામે આવ્યું છે કે ફેબ્રુઆરીમાં સિયા અને કેતનની સગાઈ થઈ હતી. પરંતુ તે પહેલાં, જાન્યુઆરીમાં સિયા ગોયલ અને ચેતન ચૌધરી પોતાના મિત્રોના ગ્રુપ સાથે રાજસ્થાનના ઉદયપુર ગયા હતા અને ત્યાં પાંચ દિવસ રોકાયા હતા. ચેતન મૂળ રાજસ્થાનનો જ વતની છે. પોલીસને આશંકા છે કે આ જ ટ્રીપ દરમિયાન બંને વચ્ચે કેતનની હત્યાનું પ્લાનિંગ થયું હતું. હાલ પોલીસ આ ટ્રીપના રેકોર્ડ્સ, લોકેશન્સ અને ડિજિટલ પુરાવા એકત્ર કરી રહી છે.

આ સમગ્ર ઘટના 18 જૂનના રોજ બની હતી. 26 વર્ષીય કેતન અગ્રવાલ તેની મંગેતર સિયા સાથે લોહાગઢ કિલ્લાની મુલાકાતે ગયો હતો. કાવતરાના ભાગરૂપે સિયાનો પ્રેમી ચેતન ચૌધરી પણ ત્યાં પહોંચી ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, કિલ્લા પર પૂર્વ આયોજિત સિગ્નલ મુજબ સિયા ત્યાં નીચે બેસી ગઈ હતી. આ સિગ્નલ મળતા જ પાછળથી આવેલા ચેતને કેતનને કિલ્લા પરથી નીચે ધકેલી દીધો હતો, જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. શરૂઆતમાં આને અકસ્માત ગણાવવામાં આવી રહ્યો હતો, પરંતુ પોલીસે ગણતરીના દિવસોમાં જ આ હત્યાનો પર્દાફાશ કર્યો હતો.

હત્યા બાદ સિયા અને ચેતને માત્ર વોટ્સએપ ચેટ્સ જ ડિલીટ નહોતી કરી, પરંતુ ફોનનું રિસાયકલ બિન પણ ખાલી કરી દીધું હતું. પોલીસે બંનેના મોબાઈલ ફોન ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે. કોલ ડિટેલ રેકોર્ડ્સ તપાસતા જાણવા મળ્યું છે કે જાન્યુઆરીથી જૂન સુધીમાં બંને વચ્ચે 2004 ફોન કોલ્સ થયા હતા અને તેમણે કુલ 238 કલાક સુધી વાતચીત કરી હતી.

સિયાનો મોટો ભાઈ સાહિલ ગોયલ અને ચેતન ચૌધરી બંને સાથે ક્રિકેટ રમતા હતા. ભાઈ સાથે ક્રિકેટ મેચ જોવા જતી સિયા ત્યાં ચેતનને મળી હતી. ત્યારબાદ વર્ષ 2025માં એક મિત્રની દિવાળી પાર્ટીમાં બંને ફરી મળ્યા અને તેમની વચ્ચે નજીકતા વધી ગઈ હતી.

આ હત્યા પાછળનો હેતુ માત્ર લગ્ન ટાળવાનો જ હતો કે પછી કોઈ અન્ય મોટું કારણ છુપાયેલું છે તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે. ઉપરાંત સીડીઆર અને ડિજિટલ પુરાવાઓના આધારે કેસની સચોટ ટાઈમલાઈન બનાવવામાં આવી રહી છે.