+

ગોપાલ ઇટાલીયાની વાત સાચી પડી, રાજુ કરપડાએ કમલમમાં કેસરીયો ધારણ કરી લીધો

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) સાથે છેડો ફાડનારા ખેડૂત નેતા રાજુ કરપડા વિધિવત

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) સાથે છેડો ફાડનારા ખેડૂત નેતા રાજુ કરપડા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આયોજિત કાર્યક્રમમાં અનિરુદ્ધ દવેએ તેમને કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.

રાજુ કરપડાની સાથે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ભાજપમાં જોડાયા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, અમે ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના સપના સાથે એક ચોક્કસ પાર્ટી (AAP) સાથે જોડાયા હતા, પરંતુ ખેડૂતોની કાયમી પીડાના નિરાકરણ અને પ્રશ્નોના ઉકેલ માટે હવે મેં ભાજપનો સાથ માંગ્યો છે.

નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યાં બાદ રાજુ કરપડાએ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા તુલસીશ્યામથી વિસાવદર સુધીની કિસાન પદયાત્રા યોજી હતી. આ યાત્રા દ્વારા તેમણે ગ્રામીણ વિસ્તારોમાં અને ખાસ કરીને કિસાન વર્ગમાં પોતાની પક્કડ મજબૂત કરી છે. લાંબા સમય સુધી ખેડૂતો માટે લડત ચલાવનાર નેતા હવે સત્તાધારી પક્ષમાં જોડાતા સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

રાજુ કરપડાના ભાજપમાં પ્રવેશથી સુરેન્દ્રનગર જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપ હવે સૌરાષ્ટ્રમાં આપના ગઢમાં ગાબડું પાડવા અને ગ્રામીણ મતો ભેગા કરવા માટે કરપડાને મેદાનમાં ઉતારશે. ભાજપ તેમને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે.

આ હિલચાલથી સુરેન્દ્રનગર અને તેની આસપાસના પંથકમાં ભાજપ વધુ મજબૂત બનશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. નોંધનિય છે કે આ ખેડૂત નેતાએ ગોપાલ ઇટાલીયા પર અનેક પ્રહાર કર્યાં હતા, સામે ગોપાલે કહ્યું હતુ કે આ મહાશય ભાજપ માટે કામ કરી રહ્યાં છે અને તેઓ ભાજપમાં જોડાઇ જશે. 

 

Trending :
facebook twitter