પત્નીએ જ કરાવી હત્યા, હનીમૂન માટે ગયેલા ઇન્દોરના રાજા રઘુવંશીના કેસમાં મોટો ઘટસ્ફોટ

11:01 AM Jun 09, 2025 | gujaratpost

મેઘાલયઃ ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીના લગ્ન મે મહિનામાં થયા હતા, ત્યારબાદ તેઓ તેમની પત્ની સોનમ રઘુવંશી સાથે હનીમૂન માટે મેઘાલયના શિલોંગ ગયા હતા. ત્યાં બંને ગુમ થઈ ગયા હતા અને ઘણી શોધખોળ બાદ રાજા રઘુવંશીનો મૃતદેહ મળી આવ્યો હતો અને સોનમ ગુમ હતી. સોમવારે સવારે સોનમ રઘુવંશી અચાનક યુપીના ગાઝીપુરમાં એક ઢાબામાં મળી આવી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે એ વાત સામે આવી છે કે સોનમ તેના પતિ રાજા રઘુવંશીની હત્યાનું કાવતરું ઘડી ચૂકી હતી અને પછી ફરાર થઈ ગઈ હતી. તેની સાથે વધુ ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. તે બધાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સોનમ જે ઢાબામાં રોકાઈ હતી તેના માલિકે કહ્યું કે અહીં આવીને યુવતીએ તેના નંબરનો ઉપયોગ કરીને કોઈને ફોન કર્યો હતો. તે ખૂબ રડી રહી હતી, ત્યારબાદ અમે પોલીસને જાણ કરી અને નંદગંજ પોલીસ સ્ટેશનની પોલીસ ઢાબા પર પહોંચી અને તેને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

મેઘાલયના ડીજીપીએ ખુલાસો કર્યો

ડીજીપી આઈ નોંગરાંગે જણાવ્યું કે ઇન્દોરના પ્રવાસી રાજા રઘુવંશીની મેઘાલયમાં હનીમૂન દરમિયાન હત્યા થઇ હતી. પત્ની દ્વારા ભાડે રાખેલા લોકોએ આ હત્યા કરી હતી. પત્ની સોનમે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને ત્રણ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી, રઘુવંશી અને તેમની પત્ની 23 મેના રોજ મેઘાલયના સોહરા વિસ્તારમાં રજાઓ ગાળતી વખતે ગુમ થઈ ગયા હતા. 2 જૂનના રોજ તેનો મૃતદેહ એક કોતરમાંથી મળી આવ્યો હતો, જ્યારે તેની પત્નીની શોધ ચાલુ હતી.

SIT દ્વારા યુપીમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને બે અન્ય આરોપીઓને ઇન્દોરથી પકડવામાં આવ્યાં હતા. સોનમે યુપીના નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું, બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા લોકોએ ખુલાસો કર્યો છે કે પત્નીએ રઘુવંશીની હત્યા કરવા માટે તેમને ભાડે રાખ્યા હતા. મધ્યપ્રદેશમાં ગુનામાં સંડોવાયેલા કેટલાક વધુ લોકોને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++